હળવદમાં તાજેતરમાં બનેલ એક ગંભીર લૂંટના કેસમાં હવે મહત્વપૂર્ણ ન્યાયિક વળાંક આવ્યો છે. હળવદમાં વેપારીની આંખોમાં મરચાની ભૂકી છાંટી રૂ. ૬.૯૦ લાખની રોકડ રકમની લૂંટ કરવાના ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓને હળવદ પોલીસે હળવદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ તે સમયે હળવદ કોર્ટે આ રિમાન્ડ નામંજુર કરી દીધા હતા. આ નિર્ણયને હળવદ પોલીસે નામદાર મોરબી સેશન્સ કોર્ટમાં પડકારતા સેશન્સ કોર્ટે હળવદ કોર્ટના આદેશ પર ગંભીર ટીકા કરી અને ન્યાયના હિતમાં આરોપીઓને ૭ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.
લૂંટ કેસની ટુક વિગત મુજબ, હળવદના રાણેકપર રોડ ઉપર આનંદ બંગ્લોઝમાં રહેતા તથા યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વ્યવસાય કરતાં રજનીકાંત ભીખાભાઈ દેથરીયાએ તા. ૨ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, મોડી સાંજે તેઓ યાર્ડ પરથી થેલામાં રૂ. ૬.૯૦ લાખ રોકડ રકમ લઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રાણેકપર રોડ ઉપર બે બુકાનીધારી શખ્સોએ તેમને આંતરી આંખોમાં મરચાની ભૂકી છાંટી અને રોકડ ભરેલ થેલો ઝૂંટવી લૂંટ ચલાવી હતી. આ ફરિયાદના આધારે હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી. વ્યાસની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તીવ્ર કામગીરી કરીને લૂંટ કરનાર આરોપી રાહુલ ઉર્ફે પીંગરો વિજયભાઈ હળવદિયા રહે. વીસીપરા મોરબી અને આરોપી કિશન મોતીભાઈ પરસાડીયા રહે. મચ્છોનગર દલવાડી સર્કલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટની રકમમાંથી રૂ. ૫,૧૧,૮૦૦/- રોકડ, લૂંટના પૈસાથી ખરીદેલી આઈ-૨૦ કાર નં. જીજે-૨૭-એએચ-૨૪૪૦ તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ ચોરી કરેલ બાઈક નં. જીજે-૦૬-એઆર-૨૫૩૪ પણ કબ્જે કર્યું હતું.
ત્યારે પકડાયેલ બંને આરોપીઓને હળવદ કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે રિમાન્ડ મંજૂર ન કરતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હળવદના પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા સરકારી વકીલ વિજય જાની મારફતે મોરબી સેશન્સ કોર્ટમાં રિમાન્ડ રિવિઝન અરજી કરવામાં આવી હતી. આ મામલે સેશન્સ જજ પી.વી. શ્રીવાસ્તવે હળવદ કોર્ટના આદેશ પર ટીકા કરી આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ હળવદ પોલીસ દ્વારા બન્ને આરોપીઓની કસ્ટડી લઈ આ ગુનાની વધુ કડીઓ જોડવા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે









