મોરબી: મહિલાઓમાં માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતા અને આરોગ્ય જાળવવાની જાગૃતિ વધે તે હેતુસર ‘મેનસ્ટ્રુઅલ હાઈજિન ડે’ નિમિતે મોરબીના રવાપર ગામે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓ અને યુવતીઓને માસિક ચક્ર દરમિયાન પાલન કરવાની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો. હિરલ સનારીયા અને આરોગ્ય કર્મીઓ દ્વારા પેડના યોગ્ય ઉપયોગ, નિકાલ અને વૈજ્ઞાનિક રીતે જાતે સ્વચ્છ રહેવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તકે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને આર.સી.એચ. અધિકારી ડો. સંજય શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓની હેમોગ્લોબિન ચકાસણી સાથે તેમનું વજન અને ઉંચાઈ પણ નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત મફતમાં સેનિટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોરબી તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા, ટી.એચ.વી. અંજુબેન, એફ.એચ.એસ. ગીતાબેન અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રગ્નેશ પટેલે ઉપસ્થિત લોકોને માસિક ધર્મ દરમિયાન આરોગ્ય જાળવવા માટે જાગૃત થવાની તેમજ અન્ય મહિલાઓને પણ જાગૃત કરવાની અપીલ કરી હતી