હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૭ વર્ષીય સગીરાનું લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. સગીરાના પિતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
હળવદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકમાં આરોપી આકાશ જયેશભાઈ ચૌહાણ રહે. રતનપર સોમનાથ ચોક રામાપીરની ટેકરી પાસે સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમની ૧૭ વર્ષીય સગીર દીકરીને આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી ગત તા. ૫ માર્ચના રોજ સવારના સમય દરમિયાન તેમના કાયદેસર વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. સગીરા સગીર વયની હોવાનું જાણવા છતાં આરોપીએ તેને ભોળવી લઈ જતા પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૩૭(૨) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ તેમજ આગળની તપાસ હાથ ધરી છે.









