ટંકારા તાલુકાના મીતાણાથી નેકનામ તરફ જતો માર્ગ હાલ વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. આ રોડ પર ‘ઊંટની પીઠ’ સમાન અસંખ્ય મસમોટા ખાડાઓને કારણે છેલ્લા પાંચ દિવસમાં ૬ થી ૭ નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. તંત્ર દ્વારા આ માર્ગને જામનગર જવાના વૈકલ્પિક રસ્તા તરીકે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ રસ્તાની જાળવણીના અભાવે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે.
સામાજિક અગ્રણી દીપક વ્યાસે જણાવ્યું હતું કે, ગત રાત્રે ૮:૦૦ વાગ્યાની આસપાસ એક બાઈક સવાર આ ખાડાઓને કારણે સ્લીપ થઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફતે તાત્કાલિક પડધરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. જોકે દૈનિક ડબલ ડિઝીટમા અકસ્માત થી રાહદારીઓ માં ભયનું લખલખું પ્રસરી જવા પામ્યુ છે
ટંકારા થી લતીપર હાઈવે પર ખાખરા ગામ પાસે બ્રિજ રિપેરિંગની કામગીરી ચાલતી હોવાથી તે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે તંત્રએ મીતાણા-નેકનામ રોડને ડાયવર્ઝન (વૈકલ્પિક માર્ગ) તરીકે જાહેર કર્યો. એટલે હજારો વાહનો આ બિસ્માર રસ્તા પરથી પસાર થઈ રહ્યા દૂરદશામાં વધારો કર્યો, છતાં તંત્ર દ્વારા ખાડા પુરવાની તસ્દી પણ લેવામાં આવી નથી. સ્થાનિકો અને રાહદારીઓમાં તંત્રની ‘અવળચંડાઈ’ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે:
જો નવો રોડ અત્યારે શક્ય ન હોય તો તાત્કાલિક ડામરથી પેચ વર્ક કરવામાં આવે.
ખાડાઓને કારણે થતા અકસ્માતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી થાય.
ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રસ્તાની સુરક્ષા વધારવામાં આવે.
જો આગામી સમયમાં આ માર્ગનું સમારકામ કરવામાં નહીં આવે, તો હજુ પણ મોટા અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે સ્થાનિક નેતાની પિપુડી પબ્લિક માટે ક્યારેય ન વાગતા પોતાના કામ માટે મથતા કહેવાતા નેતાઓ વિરુદ્ધ પણ રોષ ભભૂકી ઉઠયો હતો.









