પતિ-પત્ની વચ્ચેના મનદુખના કારણે સાસરી પક્ષના હુમલામાં ૬ સભ્યો ઘાયલ.
મોરબી-૨: માળીયા-વનાળીયા સોસાયટી ખાતે પોતાના પિયર રિસામણે આવેલ દીકરી અને તેના પતિ વચ્ચેના વિવાદના પગલે પડોશમાં રહેતા કુટુંબી સાસરીયાઓએ દીકરીના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે આ મારકૂટમાં છ લોકોને ઈજા થઈ છે, હુમલાખોરોએ ધમકી આપી કે ‘મારી કાકીને પાછી ન મોકલી દેજો નહિ તો ઠામ મારી નાખીશું’. ઘટનાને લઈ મોરબી બી ડિવિઝન પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા પ્રભાબેન હસમુખભાઈ સોલંકી ઉવ.૪૮ એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મનુભાઈ બાબુભાઇ બાંભણવા, વર્ષાબેન મનુભાઈ બાબુભાઇ બાંભણવા તથા સુમિત મનુભાઈ બાંભણવા ત્રણેય રહે. મોરબી-૨ માળીયા-વનાળીયા સોસાયટી વાળા વિરુદ્ધ આપેલી ફરીયાદ મુજબ, ફરિયાદી પ્રભાબેનની સૌથી નાની દીકરી નયનાબેને આશરે છ મહિના પહેલા રાકેશ લાલજી બાંભણવાના સાથે લગ્ન કર્યા હતા, પરંતુ હાલમાં પતિ સાથેના મનદુખને કારણે માતાપિતાના ઘરે આવીને રહે છે. ત્યારે તા. ૩૦/૦૫ના રોજ સવારે પ્રભાબેનના સંબંધી ભાભી હેતલબેન રમેશભાઈ પરમાર, જે આરોપીની શેરીમાંથી પસાર થતા હોય ત્યારે આરોપી મનુભાઈ બાંભણવા, પત્ની વર્ષાબેન તથા દીકરો સુમીતે તેને રોકી અને કહ્યું કે ‘તુ રાકેશ અને નયનાના મુદ્દામાં રસ શાં માટે લે છે?’ તેમ કહી ત્રણેયએ મળી હેતલબેનને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો અને સુમીતે પથ્થર મારી નાક તથા આંખ પાસે ફ્રેક્ચર જેવી ઈજા કરી.
આ દરમિયાન આરોપી વર્ષાબેન અને સુમીત પ્રભાબેનના ઘરમાં ઘૂસી ગયા અને પરિવારજનોને પણ માર માર્યો. પ્રભાબેનના પિતા વશરામભાઈને લાકડી વડે વાસા તથા પગે ઘા મારવામાં આવ્યા. તેમને લાફો પણ મારવામાં આવ્યો. નયનાબેન છોડાવવા જતાં પેટમાં ઘા મારવામાં આવ્યા, આરોપી દ્વારા નળીયાના છૂટા ઘા કરતા પ્રભાબેનને મોઢા ઉપર ઈજા થઈ અને પ્રભાબેનના દીકરા હીમાંશુને હાથમાં ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ માટે પોલીસને ફોન કરતા આરોપીઓ જતાં જતાં ધમકી આપી કે નયનાબેનને પાછી ન મોકલો તો જાનથી મારી નાખીશું. ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર સબબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, હાલ મોરબી બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.