મોરબીના સામા કાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલ ખાતે આગ અને દર્દીઓ ફસાયા હોવાની સ્થિતિ સર્જી ફાયર એન્ડ ઈમરજન્સી શાખાએ મોકડ્રિલ યોજી હતી. ફાયર ટીમે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી બીજા માળે ફસાયેલ બે વ્યક્તિઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા.
મોરબીમાં તા. ૨૭/૦૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૫:૧૭ કલાકે સમર્પણ હોસ્પિટલ સામા કાંઠે માળિયા ફાટક પાસે આગ લાગી હોવાની અને બે વ્યક્તિઓ ફસાયા હોવાની જાણ હોસ્પિટલ સંચાલક દ્વારા મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખાને કરવામાં આવી હતી. જાણ મળતાની સાથે ફાયર ટીમ ૦૫:૨૨ કલાકે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી હોસ્પિટલના બીજા માળે ફસાયેલ બે વ્યક્તિઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આ સમગ્ર કાર્યવાહી મોકડ્રિલ હોવાનું જાહેર થતાં હોસ્પિટલ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં આગ કે અન્ય દુર્ઘટના સમયે કેવી રીતે ઝડપી અને સલામત રીતે જાન બચાવી શકાય તેની તૈયારી કરવાનો હતો. આ અભ્યાસ દ્વારા ફાયર બ્રિગેડની આધુનિક સાધનો સાથેની સજ્જતા અને કાર્યક્ષમતા સ્પષ્ટ રીતે સામે આવી હતી.
આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. ૨૦/૦૧/૨૦૨૬થી ૨૬/૦૧/૨૦૨૬ દરમિયાન પાંચ ઇન્ડસ્ટ્રીઝમાં કુલ ૯૦ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ચકાસણી કરી, ફાયર એનઓસી વગરની બિલ્ડીંગોને નોટિસ આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અગાઉની કાર્યવાહી અંતર્ગત ૧૭૨ કોમ્પ્લેક્ષ અને ૩૪ સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ સાથે અગ્નિશમન શાખાએ શહેરીજનોને અપીલ કરી છે કે કોઈપણ આગ અથવા ઇમરજન્સી સમયે તરત જ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર ૧૦૧, ૧૧૨ અથવા (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ પર સંપર્ક કરી જાન-માલની નુકસાનીથી બચાવ કરવો.









