મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા રૂ.૧૦ અને ૨૦ ની નોટના બંડલ આપવાની લાલચ આપી લોકો પાસેથી અન્ય નામે આંગડિયા મારફતે રૂપિયા મંગાવી ઠગાઈ કરનાર આરોપી પંકજભાઈ ફેફરને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ છેલ્લા છ માસમાં મોરબી સહિત અન્ય વિસ્તારોમાં પંદર જેટલા લોકોને શિકાર બનાવ્યા હોવાની વિગતો સામે આવી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ અને સીટી એ ડિવિઝન પોલુસ માથક પીઆઈ આર.એસ. પટેલની સૂચના મુજબ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી ચેતનભાઈ રતીલાલ દેત્રોજા રહે.રવાપર ધુનડા રોડ જયોતિપાર્ક સોસાયટી મોરબી વાળા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ આરોપીએ ફરીયાદીને ફોન કરીને રૂ.૧૦ અને રૂ.૨૦ ની નોટના બંડલ સસ્તા દરે આપવાની લાલચ આપી અમદાવાદ ખાતે આંગડિયા મારફતે રૂપિયા મોકલવા જણાવ્યું હતું. ફરીયાદીએ વિશ્વાસમાં આવી રૂ.૨,૫૦,૦૦૦/-નું આંગડિયું કરાવ્યું હોવા છતાં આરોપીએ નોટના બંડલ ન આપી ઠગાઈ આચરી હતી. આ મામલે મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં આરોપી પંકજ ફેફર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે આ કેસની તપાસની લઈને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી પોલીસે આરોપી પંકજભાઈ કેશવજીભાઈ ફેફર રહે. નવાગામ-લખધીરનગર તા. મોરબી વાળાને ઝડપી પાડ્યો હતો. આ સાથે આરોપી પંકજ ફેફરને કોર્ટમાં રજૂ કરતાં આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ છેલ્લા છ માસ દરમિયાન મોરબી શહેર ઉપરાંત અન્ય જીલ્લાઓમાં પણ અંદાજે પંદર જેટલા લોકોને આ જ રીતથી શિકાર બનાવ્યા હતા. આરોપી હોટલ ખર્ચ ટાળવા અને પોલીસની નજરથી બચવા માટે સતત ટ્રેન મારફતે અમદાવાદ, સુરત, જયપુર તથા ગોવા જેવા શહેરોમાં ફરતો રહેતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ સાથે ઠગાઈ કરવાની હોય ત્યારે અમદાવાદ અથવા સુરત ખાતે આંગડિયું કરાવી રૂપિયા મેળવી ફરી ટ્રેન મુસાફરી શરૂ કરી દેતો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત તથા ઠગાઈની કલમો મુજબ ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ રેકોર્ડમાં જણાયું છે. આ સાથે મોરબી જીલ્લા પોલીસે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે ઉપરોક્ત મોડસ ઓપરેન્ડી મુજબ જો કોઈ વ્યક્તિ આવી ઠગાઈનો ભોગ બન્યો હોય તો તાત્કાલિક મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.









