કરીયાવર અને દીકરીના જન્મ બાબતે મણાંટોણાં આપી મારકુટ કરાતી હોવાનો આક્ષેપ.
મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) ગામે રહેતી પરણિતા મહિલાએ જામનગર સ્થિત પોતાના સાસરીયાઓ દ્વારા શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કરી મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ઘરકામ, કરીયાવર ઓછું લાવવાનો આક્ષેપ તેમજ દીકરીના જન્મ બાબતે વારંવાર મણાંટોણાં આપી મારકુટ કરાતી હોવાના આરોપ સાથે પોલીસે ફરિયાદના આધારે પતિ સહિતના સાસરીયા પક્ષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પિલુડી વાઘપર ગામે રહેતા પરમેશ્વરીબા અભયરાજસિંહ ચુડાસમા ઉવ.૨૬ એ આરોપી અભયરાજ સિંહ અનોપસિંહ ચુડાસમા, ભારતીબા અનોપસિંહ ચુડાસમા, અનોપસિંહ મહિપતસિંહ ચુડાસમા, હર્ષરાજસિંહ અનોપસિંહ ચુડાસમા રહે. જાસોલીયા સોસાયટી. ગામ, જામનગરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તથા ઘરકામ બાબતે તથા કરીયાવર ઓછો લાવ છો તથા દિકરીનો જન્મ થયો એ બાબતે મણાંટોણાં મારી ફરીયાદીના પતિની ચડામણી કરતા મારકુટ કરી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.









