મોરબીના યુવક સાથે છેતરપિંડી કરનાર શખ્સને ચેક રિટર્ન કેસમાં કોર્ટે સજા ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચેક મુજબની રકમ આરોપી દ્વારા કોર્ટમાં જમા કરાવવા છતા, આરોપીને એક વર્ષની કેદની સજા તથા ફરીયાદીને બમણી રકમનું વળતર આપવા મોરબી કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કેસની મળતી માહિતી મુજબ, મોરબીના ફરીયાદી દિનેશચંદ્ર વાડીલાલ વડોદરીયાએ, આરોપી રોહિતભાઈ જીવણભાઈ ઝાલાવાડીયાને ગત ૨૦૧૫ માં, હાથ ઉછીનાં રૂ. ૧૦,૦૦,૦૦૦/- આપ્યા હતા. જેમાંથી રૂ. ૯,૬૦,૦૦૦/- પરત ચૂકવવા માટે રોહિતભાઈ જીવણભાઈ ઝાલાવાડીયાએ રૂ.૯,૬૦,૦૦૦/- નો એક ચેક આપ્યો હતો અને આ ચેક ફરીયાદીએ ખાતામાં જમા કરાવતા, ચેક પરત થતા, ફરીયાદીએ આરોપી રોહિતભાઈને નોટીસ આપી હતી અને આરોપીએ ફરીયાદીને ચેકની રકમ ન આપતા, દિનેશચંદ્રએ, આરોપી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં ગુન્હો દાખલ કર્યો હતો અને આ કેસ ચાલી જતા, રોહિતભાઈએ, ચેકની બાકી નિકળતી રકમ રૂ. ૯,૬૦,૦૦૦/- કોર્ટમાં જમા કરાવી હતી. જેની સામે દિનેશચંદ્રના વકીલ ચિરાગ ડી. કારીઆએ સુપ્રિમ કોર્ટ અને જુદી જુદી હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરી હતી કે, ચેકના નાણા કેસ દાખલ કર્યાના ચાર વર્ષ બાદ જજમેન્ટના તબકકે કોર્ટમાં જમા કરાવવાથી, ફરીયાદ ડીસમીસ થતી નથી કે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી શકાતા નથી, પરંતુ આરોપીને સજા કરવી જોઈએ તેમજ ફરીયાદીને થયેલ નાણાકીય નુકશાનનું યોગ્ય વળતર મળવું જોઈએ તેવી દલીલો કરેલ હતી. ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામ. હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યમલ મેજીસ્ટ્રેટ સી.વાય. જાડેજાએ આરોપી રોહિતભાઈ જીવણભાઈ ઝાલાવાડીયાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમનું વળતર રૂ. ૧૯,૨૦,૦૦૦/- ફરીયાદીને ચૂકવી આપવાનો અતિ મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ તથા રવી કે. કારીયા રોકાયેલ હતા.