મોરબીમાં ગૌરક્ષકો અને પોલીસ દ્વારા કતલખાને લઈ જાતા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. અને પીપળીયા ચાર રસ્તા પાસેથી એક આરોપીને પકડી પોલીસને સોંપાવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગત તા.19/03/2026ના રોજ વહેલી સવારે કચ્છથી માળીયા મારફતે મોરબી તરફ પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી મળતા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદની ટીમોએ વોચ ગોઠવી હતી. અને બાતમીના આધારે GJ-03-BW-50 નંબરની બોલેરો પીકઅપ ગાડીને માળીયા પાસેથી પસાર થતી જોઈ તેનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પીપળીયા ચાર રસ્તા નજીક ગાડીને રોકી તપાસ કરતા અંદર ત્રણ પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસના સહયોગથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાહન ચાલક પાસે કોઈપણ પ્રકારની માન્ય પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું અને પશુઓ કચ્છથી મોરબી તરફ લઈ જવામાં આવતા હોવાનું ખુલ્યું હતું. જેથી ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત રીતે આરોપીને ઝડપી પાડ્યો હતો, ગાડીને કબજે કરી પશુઓને મુક્ત કરાવવામાં આવ્યા હતા. તેમજ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં મોરબી સહિત રાજકોટ, કચ્છ, ધાંગધ્રા, લીંબડી, ચોટીલા અને હળવદના ગૌરક્ષકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.









