માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા દહીસરા નજીક પાવર હાઉસ પાસે મોરબીના તરુણ ઉર્ફે ગોપાલભાઇ હંસરાજભાઇ ગામી નામના યુવક પર ત્રણ ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું હતું.જે અંગે અજાણ્યા ઈસમે ફાયરિંગ કર્યાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું હતું પરંતુ પોલીસને શરૂઆતથી જ શંકા લાગતા એલસીબી ટીમે આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી હતી અને જેમાં યુવકને દેવું વધી ગયું હોય રૂપિયા ન ચૂકવવા પડે માટે પોતે જ પોતાના મિત્ર પરેશ અને મકસુદ સાથે મળી આ નાટક રચ્યું હતું અને મકસુદ નામના ઇસમને ત્રણ લાખ રૂપિયા માં ફાયરિંગ નો સોદો નક્કી કરી પોતે જ હથિયાર અને કારતૂસ આપી પોતાના પર ફાયરિંગ કરાવ્યાનુ ખુલ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગત તા.૨૦/૦૫/૨૦૨૫ ના રાત્રીના નવ સાડા નવેક વાગ્યાના આસપાસ મોટા દહીંસરાથી નવલખી રોડ જી.ઈ.બી.પાવર હાઉસ સામે રોડ ઉપર આઇ-૨૦ કાર GJ36R5350 માં મોરબીના તરૂણભાઇ ઉર્ફે ગોપાલભાઇ હંસરાજભાઇ ગામી રહે. પ્રમુખ એપાર્ટમેન્ટ મોટી કેનાલ અવની ચોકડી પાસે મોરબી વાળા પોતાની કાર લઇ ઊભા હતા. ત્યારે એક આશરે 30 વર્ષની ઉંમરનો માણસ જેને શરીરે લાલ શર્ટ પહેર્યા હતો તેણે આવી પોતાની ગાડીનો કાચ ખોલાવી ગાળો બોલતો હતો. જેને ગાળો બોલવાની ના પાડતા એક દમ ઉશ્કેરાઇ જઇ મારી નાખવાના ઇરાદે પોતાની પાસે રહેલ તમંચા જેવા હથીયારથી પોતાની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ગંભીર ઇજાઓ કરી ગુનો કરેલાની ફરીયાદ કરી હતી. જે અંગે માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહીતા ની કલમ ૧૦૯(૧), ૧૧૮(૧) તથા આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી), (એ), ૨૭(૧), ૨૭(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. જે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ અશોકકુમાર (IPS) પોલીસ નિરીક્ષક રાજકોટ વિભાગ,રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યા એલ.સી.બી. મોરબીને તાત્કાલીક ગુનો શોધી કાઢવા તેમજ સંડોવાયેલ આરોપી પકડી પાડવા માટે સુચના કરતા વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી તેમજ બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, એલ.સી.બી. પેરોલ ફર્લો, ટેકનીકલ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો કામગીરી કરવા કાર્યરત હતા. જે વણશોધાયેલ ગુનો શોધી કાઢવા માટે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડની અલગ-અલગ ટીમોને અલગ-અલગ કામગીરી સોંપી હતી. જેમાં બનાવ સ્થળની વિઝીટ કરી બનાવ સ્થળની આજુબાજુમાં આવેલ દુકાન, હોટલ તથા પેટ્રોલપંપ વગેરે જગ્યાએ લગાડેલ સી.સી.ટી.વી. ફૂટેજ તપાસતા તેમજ ટેકનીકલ અને હ્યુમન એનાલીસીસ કરતા ગુનામા સંડોવાયેલ બે શકમંદ ઇસમો પરેશભાઈ ગોપાલભાઈ ઉઘરેજા અને મકસુદ મહમદભાઇ નકુમને એલ.સી.બી.કચેરી ખાતે પુછપરછ માટે લાવી યુક્તિ પ્રયુક્તિ વડે પુછપરછ કરતા ફરીયાદી તરૂણભાઇ ઉર્ફે ગોપાલભાઇ હંસરાજભાઇ ગામીને ધંધામાં પૈસાનુ દેણું વધી જતા લેણદારોને પૈસા ચુકવવા ન પડે તે માટે પોતે પોતાની ઉપર ફાયરીંગ કરવા આરોપી પરેશભાઈ ઉઘરેજાને જણાવતા તેઓએ આરોપી મહમદભાઇ નકુમનો સંપર્ક કરાવી ગોપાલભાઈ ગામી ઉપર ફાયરીંગ કરવાના રૂપીયા ૩,૦૦,૦૦૦ આપવાના નક્કી કરી ફરીયાદીએ પોતે જ કાવતરૂ રચ્યું હતું. અને પોતે એક પિસ્તોલ તેમજ ત્રણ જીવતા કાર્ટીસ આરોપી મકસુદને આપતા તેણે આ ફાયરીંગ કર્યું હતું. અને નક્કી થયા મુજબ આ મકસુદને રૂપીયા ૩,૦૦,૦૦૦ /- પૈકી રૂ. ૧,૫૦,૦૦૦/- આપી દીધેલ હોવાનું તેમજ ફાયરીંગ કરેલ પિસ્તોલ પણ મકસુદ પાસે હોવાનું જણાવ્યું હતું. તેમજ આ ગુનામાં વાપરેલ હથીયાર (પિસ્તોલ ) નંગ-૦૧ કિંમત રૂ.૧૦,૦૦૦/-, બનાવને અંજામ આપવા માટે લીધેલા રૂપીયા પૈકીના રોકડા રૂપીયા ૧,૧૦,૦૦૦/- અને મોબાઇલ ફોન ૩ નંગ કિંમત રૂ.૨૫,૫૦૦/- મળી કુલ રૂ.૧,૪૫,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓની ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે માળીયા (મિં) પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા છે.હાલ આ ગુનાની ઉંડાણપુર્વકનું વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા,પેરોલ ફર્લો પીઆઇ વી.એન. પરમાર, પીએસઆઇ બી.ડી.ભટ્ટ તેમજ ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયા હતા