મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણીમંદિર ખાતે ૫ હજાર દીવડાના પ્રકાશ તેમજ તિરંગા રોશનીના શણગાર સાથે મોરબીએ આ ગૌરવશાળી ક્ષણને ઉત્સાહભેર વધાવી.
મોરબી: ભારતીય સંસ્કૃતિમાં જે પર્વનું સવિશેષ મહત્વ છે તેવા દીપોત્સવને યુનેસ્કો દ્વારા ઇન્ટેજીબલ કલ્ચર હેરિટેજમાં સ્થાન મળતા દેશભરમાં હર્ષ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણીમંદિર ખાતે જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તેમજ સમગ્ર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગૌરવશાળી ક્ષણને વધાવી લઈ મોરબી જીલ્લા કલેકટર કે.બી. ઝવેરી તથા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં અનેરા ઉત્સાહ સાથે ડિસેમ્બરમાં દિવાળી ઉજવાતી હોય એવા ભાવ સાથે મણીમંદિરમાં ૫ હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા તથા મણિમંદિરના મહેલ પર તિરંગાનો રોશની શણગાર પણ કરવામાં આવ્યો હતો. મણીમંદિરમાં દિવાળીના પર્વમાં કરવામાં આવે એ રીતે ઠેર ઠેર રંગોળીઓ પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના ભાગરૂપે મોરબીના રાજ્યકક્ષાએ વિજેતા બનેલી બાળાઓ અને બાળકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ઉપરાંત કલેકટર સહિતનાઓએ મણીમંદિરની અંદર આવેલા લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ, મહાકાળીમાં સહિતના મંદિરોમાં દેવી દેવતાઓની ભાવપૂર્વક આરતી પણ ઉતારી હતી. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક સમીર સારડા, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, જીલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડીયા, જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા









