મોરબીના શનાળા ગામે આવેલ નંદભુમી એપાર્ટમેન્ટના મેન્ટનન્સના મુદ્દે એપાર્ટમેન્ટના રહીશોમાં અંદરો-અંદરના વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું, જેમાં એપાર્ટમેન્ટના સમગ્ર મેન્ટેનન્સના રૂપિયાનો હિસાબ નોટિસ બોર્ડ ઉપર લગાડતા હોય ત્યારે ત્યાંના રહીશ આધેડે પોતાના મેન્ટેનન્સના રૂપિયા લઈ ત્યારબાદ હિસાબ નોટિસ બોર્ડ ઉપર લગાવવાનું કહેતા ચાર જેટલા શખ્સો દ્વારા આધેડ સાથે બોલાચાલી કરી બેફામ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.
મોરબી શહેરના શનાળા ગામ વિસ્તારમાં આવેલા નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામના વતની ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ બરાસરા ઉવ.૪૫ કે જેઓ સ્ટોક માર્કેટના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મયંકભાઈ બળવંતભાઈ છાત્રોલા, બળવંતભાઈ છાત્રોલા, દક્ષ રમેશભાઈ ચીકાણી, પ્રશાંત ધીરુભાઈ કાસુન્દ્રા તમામ રહે. નંદભુમી એપાર્ટમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, આ બનાવ ૦૨ મેના રોજ રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે બન્યો હતો, જ્યારે ધર્મેન્દ્રભાઈ તેમની પત્ની સાથે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવ્યા ત્યારે નોટીસ બોર્ડ ઉપર ફ્લેટ નં.૧૦૧ ના આરોપી મયંકભાઈ છત્રોલા અને ફ્લેટ નં.૩૦૨ના આરોપી દક્ષ ચીકાણી મેન્ટેનન્સનો હિસાબ લગાડતા હતા. ત્યારે ધર્મેન્દ્રભાઈએ કહ્યું કે મારી મેન્ટેનન્સની રકમ લઈને બાદ સમગ્ર હિસાબ નોટિસ બોર્ડ ઉપર લગાડવાની વિનંતી કરતાં આ બંનેએ ધર્મેન્દ્રભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી હુમલો કર્યો હતો, થોડી જ વારમાં ફ્લેટ નં. ૬૦૩ના બળવંતભાઈ છત્રોલા અને પ્રશાંત કાસુંદ્રા પણ ત્યાં પહોંચ્યા અને તેમણે પણ ધર્મેન્દ્રભાઈ ઉપર હુમલો કરી ઢીકાપાટું વડે બેફામ માર મારવામાં આવ્યો. આ હુમલામાં ધર્મેન્દ્રભાઈને કમરના ભાગે ગંભીર ઇજા થતાં તેમને ૧૭ મેના રોજ ઓર્થોપેડીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ કમરના મણકામાં ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. અગાઉ આ સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી છે અને ચારેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.