મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં અંબાણી પેપર મીલ પાસે આવેલ તળાવમાં એક ૨૮ વર્ષના શ્રમિકે મોબાઇલના વિષયને લઈને વારંવાર પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાથી કંટાળી જઈ પોતાની જાતે તળાવમાં પડી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તાલુકા પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના ઘુંટુ ગામની સીમમાં અંબાણી પેપર મીલની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જીલ્લાના નારાયણપુર ગામના વતની, શ્યામભાઇ ઉર્ફે ચુનકાઇ શ્રીરામભાઇ યાદવ ઉવ.૨૮ વાળાની દિકરી દામીની તેના મોબાઇલમાંથી અન્ય માણસોને ના પાડવા છતા ફોન લગાડી દેતી હોય જે બાબતે તેની પત્ની કિરણબેન સાથે અવાર નવાર સામાન્ય ઝગડો થતો હોય તે વાતનુ મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે અંબાણી પેપરમીલ બાજુમાં આવેલ તળાવમાં ઝંપલાવતા, તળાવના પાણીમા ડુબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. હાલ પોલીસે મૃતકની પત્ની પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.