મોરબી: ગઈકાલ તા. ૨૭ના રોજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા નવા બનેલા ૧૦ મીટર પહોળા સીસી રોડની સમીક્ષા મુલાકાતે આવ્યા હતાં. આ તકે નેશનલ હાઇવે એપ્રોચ માર્ગ પરનાં દબાણો તથા વિજપોલ હટાવી ફેનિંગ એરિયા વધારવા અધિકારીઓને સુચના આપી હતી. ઉપરાંત કેનાલ રોડથી ઘુંટુ તરફ તથા લખધીરપુર-ઘુંટુ માર્ગ પર નદી ઉપર નવા બ્રિજની તાત્કાલિક જરૂરિયાત દર્શાવીને સર્વે અને કાર્યવાહી માટે સૂચના અપાઈ હતી. જે બદલ મોરબીના ઉદ્યોગકારો અને સિરામિક એસોસિએશને ધારાસભ્યનો આભાર માન્યો હતો.
મોરબી તાલુકાના લખધીરપુર અને ઘુંટુ વિસ્તારના માર્ગ વિકાસ કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કરવા તાજેતરમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સ્થળ પર પહોંચ્યા હતા. નેશનલ હાઇવેથી વાયા લખધીરપુરથી નીચી માંડલ રોડ તરફ ૧૦ મીટર પહોળાઈ ધરાવતા નવનિર્મિત સીસી માર્ગના કામનું તેમણે અવલોકન કર્યું હતું. મુલાકાત દરમ્યાન નેશનલ હાઇવે એપ્રોચ વિસ્તાર ખાતે ફેનિંગ એરિયા વધારવા માટે રોડ પર આવેલા વિજપોલ તેમજ અન્ય દબાણો દૂર કરવાની તાત્કાલિક જરૂરિયાત અંગે સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. વિશેષમાં, કેનાલ રોડથી ઘુંટુ તરફ જતા નવા સિરામિક ક્લસ્ટરના સીસી માર્ગ પર ઘુંટુ નદી નજીકના સ્મશાન પાસે નવો બ્રિજ બનાવવાની આવશ્યકતા ધારાસભ્યએ વ્યક્ત કરી હતી. ચોમાસામાં ભારે વાહનોની અવરજવર અવિરત રહે તે માટે નવો બ્રિજ અગત્યનો હોવાનું સૂચવતા અધિકારીઓને તાત્કાલિક દરખાસ્ત મોકલવા ભલામણ કરી.
આ ઉપરાંત, લખધીરપુર-ઘુંટુ-લિવોલા માર્ગ ઉપર હાલ ચાલી રહેલા સીસી રોડના કામ દરમિયાન ઘુંટુ ગામની નદીના હૈયાત વોકળા પર પણ નવો બ્રિજ બનવો જરૂરી હોવાનું દુર્લભજીભાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું. આ બ્રિજોના નિર્માણ થવાથી લખધીરપુર ગામને હળવદ રોડ સાથે યોગ્ય કનેક્ટિવિટી મળશે અને સમગ્ર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુલભ બનશે. ધારાસભ્ય દેથરિયાએ બંને સ્થળોની મુલાકાત પછી ત્વરિત સર્વે હાથ ધરવા તથા જરૂરી કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. આ પ્રયત્નોને લઈને લખધીરપુર રોડના તમામ ઉદ્યોગકારો તથા સિરામિક એસોસિએશને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે









