મોરબી મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાઓ હેઠળનાં આવાસોની સાઇટ પર તપાસ હાથ ધરાઈ હતી. જ્યાં બંધ મળેલા આવાસોનું રાત્રિ દરમ્યાન રી-વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જ્યારે કાયમી વસવાટ ન કરતા લાભાર્થીઓના આવાસો રદ્દ કરાશે તેવી કમિશ્નર દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી.
મોરબીમાં તા.૦૪/૧૨ ના રોજ મહાનગરપાલિકાના કમિશ્નર, નાયબ કમિશ્નર (પ્રોજેક્ટ) તથા આવાસ યોજના ટીમ દ્વારા PMAY અને CM આવાસ યોજના (IHSDP) હેઠળના આવાસોની સાઇટ વિઝિટ કરાઈ હતી. આ વિઝિટ દરમિયાન અનેક સ્થળોએ આવાસો બંધ મળ્યા બાદ કમિશ્નરની સૂચના મુજબ આવાસ ટીમે રાત્રિના સમયમાં રી-વેરિફિકેશન હાથ ધર્યું હતું. ત્યારે તપાસમાં બહાર આવ્યું કે કેટલાક લાભાર્થીઓ દ્વારા ફાળવાયેલા આવાસોનો કાયમી ઉપયોગ કરવામાં આવતો નથી. જેથી આવાસનો નિયમિત ઉપયોગ ન કરતા લાભાર્થીઓના યુનિટ રદ્દ કરવા માટે કમિશ્નરે સ્પષ્ટ સૂચના આપી હતી. આ સાથે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આવાસોનો કાયમી ધોરણે ઉપયોગ કરવો જરૂરી હોવાનું મોરબી મહાનગરપાલિકાએ જણાવ્યું છે. સાથે જ યોજનાની સાઇટને સ્વચ્છ અને જાળવણીસભર રાખવા લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.









