મોરબી મહાનગરપાલિકા દ્રારા મિલકત વેરા પર ૧૦% રિબેટની જાહેરાત સાથે ૩૭૫૦ મિલકતધારકોને બાકી રકમ અંગે વોરંટ આપ્યા છે. અત્યાર સુધી ૭ મિલકતો સીલ કરાઈ છે અને ટૂંક સમયમાં તમામ મિલકતોની હરાજી દ્વારા વસુલાત હાથ ધરાશે. શહેરવાસીઓને તાત્કાલિક વેરા ભરવા અપીલ કરાઈ છે.
મોરબી મહાનગરપાલિકાની ટેકસ શાખા દ્વારા મિલકત વેરાની વસુલાતને લઇ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરા પર ૧૦% રિબેટ આપવામાં આવી રહ્યો છે. આ રિબેટ તા.૦૧ એપ્રિલ ૨૦૨૫થી ૦૪ જૂન ૨૦૨૫ દરમિયાન ચૂકવવામાં આવેલા વેરા પર લાગૂ છે. ટેક્સ શાખાની માહિતી અનુસાર, ૧૦ હજારથી ૫૦ હજાર રૂપિયા સુધીની બાકી વેરો ધરાવતા ૩૭૫૦ મિલકતધારકોને અત્યાર સુધી વોરંટ બજવણી કરવામાં આવી છે. આ દરમિયાન ૭ મિલકતો સીલ કરવામાં આવી છે અને આ મિલકતો ટૂંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે.
ટેક્સ શાખાએ જણાવ્યુ છે કે વર્ષ ૨૦૨૪-૨૫ માટેની બાકી વેરાની રકમ જે મિલકતધારકોએ હજુ સુધી ચૂકવેલી નથી, તેમની મિલકતોને પણ એપ્રિલ, મે અને જૂન માસ દરમ્યાન જપ્ત અથવા ટાંચ કરવામાં આવશે. શહેરીજનોની સરળતા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેક્સ ચુકવવાની સગવડ પણ ઉપલબ્ધ છે. નાગરિકો www.enagar.gujarat.gov.in વેબસાઈટ પર જઈ ઓનલાઈન વેરો ભરી શકે છે. ઉપરાંત, શહેરના સિવિક સેન્ટર પહેલા માળે રેલવે સ્ટેશન પાસે અને મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પણ વેરો ભરવાની સગવડ ઉપલબ્ધ છે.