મોરબીમાં કોયડા સમાન બની ગયેલ કેસ કે જેમાં છેલ્લા સાત દિવસથી લાપતા થયેલ જમીન દલાલ તાજમહંમદ કરીમભાઈ ભટ્ટીની હત્યાનો થઈ હોવાનું સામે આવ્યું છે અને આ ગુનો છુપાવવા માટે આરોપીઓની તમામ ચાલ પર મોરબી પોલીસે પાણી ફેરવી દીધું છે અને તટસ્થ અને ઝડપી તપાસ કરી આ કેસ ઉકેલી કાઢ્યો છે.જે મામલે હવે મૃતકના પુત્ર રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ તેજ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મૃતક તાજ મહમદ કરીમભાઈ ભટ્ટી છેલ્લા 15 વર્ષથી જમીન દલાલીનો વ્યવસાય કરતા હતા. જમીનના સોદા અને રૂપિયા ઉઘરાણી મામલે થોભણભાઈ અઘારા સાથે મનદુઃખ ચાલતું હતું. તાજેતરમાં જમીન અપાવવાના બહાને 5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ રકમ અને જૂના વિવાદનો ખાર રાખી આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.19 ફેબ્રુઆરીના રોજ બપોરે સામાકાંઠા વિસ્તારમાં લાલબાગ સેવાસદન પાસે જમીન સોદાની વાતચીતના બહાને તાજમહંમદભાઈને બોલાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને કારમાં બેસાડી ભડીયાદ નજીકના ફાર્મહાઉસ પર લઈ જવાયા. આરોપીઓએ પ્લાસ્ટિક પાઈપ અને લાકડાના બડીકા વડે ગંભીર માર મારતાં તેમનું મોત નિપજ્યું હોવાનું નોંધાયું છે.હત્યા બાદ પુરાવા નાશ કરવા લાશને પીપળી રોડ પર આવેલા ‘શિવાય કોલ’ નામના કારખાને લઈ જઈ ખાડો ખોદી લાકડા અને ડીઝલથી સળગાવી દેવાઈ હતી. બાદમાં સિમેન્ટ કોંક્રીટનો ધાબો ભરી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી માનવ કંકાલના બળેલા અવશેષો મળી આવ્યા છે.પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ આરોપી બાલુભાઈ થોભણભાઈ અઘારા
જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા
રમેશભાઈ અરજણભાઈ અઘારા
વિશાલ રમેશભાઈ વાધડીયા
ભાવેશ થોભણભાઈ અઘારા
જયદિપભાઈ કાનાભાઈ સેરશીયા
થોભણભાઈ ઘેલાભાઈ અઘારા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









