મોરબીની બીજા એડીશ્નલ સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના ગુનામાં મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. જેમાં આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગળસિંહ રાજાવતને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત રૂ.5,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, અને દંડ ન ભરાય તો વધારાની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગળસિંહ રાજાવત અને મૃતક રાજુકુમાર પ્રજાપતી વચ્ચે પૈસાની લેતીદેતી મુદ્દે ઝઘડો થયો હતો, જે ઉગ્ર બનતા આરોપીએ છરી વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ બાદ પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ દાખલ કરી હતી. જેને લઈ મોરબીની બીજા એડીશ્નલ સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના ગંભીર ગુનામાં આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગળસિંહ રાજાવતને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને રૂ. 5,000 નો દંડ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કુલ 16 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયા હતા. જેમાં સરકારી વકીલ સંજય દવે દ્વારા કરાયેલ દલીલોને માન્યા રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે. સાથે જ કોર્ટએ આદેશ આપ્યો કે ટ્રાયલ દરમિયાન ભોગવેલી કસ્ટડી સજામાં ગણવામાં આવશે અને કબ્જે કરાયેલ મુદ્દામાલનો અપીલ સમયગાળો પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવશે.









