મોરબી મહિલા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં ટંકારાના હમીરપર ગામે માવતરે રહેતા શિક્ષિકાએ પતિ, સાસુ, જેઠ-જેઠાણી સહિત સાસરીયા પક્ષ વિરુદ્ધ દહેજ માંગણી, માનસિક ત્રાસ અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે મોરબી મહિલા પોલીસ મથકે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ટંકારાના હમીરપર ગામે માવતરે રહેતા અને ખેવારીયા સાસરું ધરાવતા જ્યોતિબેન દિવ્યેશભાઈ ઉભડીયા ઉવ.૩૧ કે જેઓ સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેણીએ મોરબી મહિલા પોલીસ મથકમાં આરોપી પતિ દિવ્યેશભાઈ નિલેશભાઈ ઉભડીયા, સાસુ સરોજબેન નિલેશભાઈ ઉભડીયા, જેઠ જયદીપભાઈ નિલેશભાઈ ઉભડીયા તથા જેઠાણી પિન્ટુબેન જયદીપભાઈ ઉભડીયા તનામ રહે ખેવાળીયા ગામ તા.જી.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૫ જૂન ૨૦૨૫ના રોજ ખેવાળીયા ગામના દિવ્યેશભાઈ નિલેશભાઈ ઉભડીયા સાથે લગ્ન થયા હતા. લગ્ન સમયે માવતર તરફથી દસ તોલા સોનું તથા ઘરવખરી આપવામાં આવી હતી. લગ્ન પહેલાં અને બાદમાં પતિ દ્વારા રૂપિયા ૨૦ હજાર તેમજ બાદમાં એસી, વોશિંગ મશીન, ચાંદીનો કંદોરો વગેરે લાવવા દબાણ કરાયું હતું. ઘરકામ અને કરિયાવર બાબતે અવારનવાર મેણાટોણા, અપમાનજનક શબ્દો અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ચારિત્ર્ય બાબતે ખોટા આક્ષેપો કરી પરિવાર સમક્ષ અપમાન કરવામાં આવતું હતું. ત્યારે ગત તા.૧૪/૦૯/૨૦૨૫ના રોજ ટંકારા રોડ પર અડધા રસ્તે સામાન સાથે ઘરેથી કાઢી મુકવામાં આવી હતી. બાદમાં સમાધાન બેઠકમાં પણ ચારિત્ર્ય અંગે ખોટા આક્ષેપો કરી અડધો પગાર સાસરીયાને આપવાની શરત મુકાઈ હોવાનું જણાવાયું છે. આ માનસિક ત્રાસથી કંટાળી ફરીયાદી શિક્ષિકાએ તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ બીજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હાલ મોરબી મહિલા પોલીસે ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









