મોરબી: પાટીદાર સમાજની ઉમા સંસ્કારધામ સંચાલિત “ઉમા આદર્શ લગ્ન યોજના”માં સમયોચિત બદલાવ જાહેર કરાયા છે. હવે તમામ લગ્નવિધિઓ સંસ્થાના હોલમાં જ ફરજીયાત યોજાશે અને મહેમાનોની મર્યાદા ૧૧૧થી વધારી ૧૨૫ પ્રતિ પક્ષ કરવામાં આવી છે. નવા નિયમો ૧૬ ફેબ્રુઆરીથી લાગુ પડશે.
લગ્નપ્રસંગોમાં વધતા ખર્ચ અને દેખાડાની વૃત્તિને રોકવા માટે શરૂ કરાયેલી ઉમા આદર્શ લગ્ન યોજના છેલ્લા ૧૩ મહિનામાં સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકી છે. સેંકડો પરિવારો યોજનાથી જોડાયા છે અને સાદગીભર્યા લગ્ન તરફ વલણ વધ્યું છે. પરંતુ તાજેતરમાં કેટલીક જગ્યાએ યોજનામાં લગ્ન કરીને બહાર ખાનગી પાર્ટી પ્લોટ અથવા અન્ય સ્થળે અલગ પ્રસંગો યોજી મોટા ખર્ચ થવાના બનાવો સામે આવતા સંસ્થાએ ગંભીર નોંધ લીધી હતી. યોજનાનો લાભ લઈ બહાર ભવ્ય કાર્યક્રમો યોજાતા હોવાથી દાતાઓના વિશ્વાસ અને યોજનાની ભાવના પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે નવો નિર્ણય લેવાયો છે. લગ્ન પૂર્વેની ચાંદલા વિધિથી લઈને મંડપ રોપણ સહિતની તમામ વિધિઓ સંસ્થાના હોલમાં જ ફરજીયાત કરાઈ છે. સાથે જ બંને પક્ષને આમંત્રિત કરી શકાતા મહેમાનોની સંખ્યા ૧૧૧માંથી વધારી ૧૨૫ પ્રતિ પક્ષ, એટલે કુલ ૨૫૦ મહેમાનો સુધી કરવાની છૂટ આપવામાં આવી છે. યોજનામાં લગ્ન કરનારોએ બાદમાં અલગથી રિસેપ્શન રાખવા પર પ્રતિબંધ રહેશે. આ ફેરફારો તા.૧૬ ફેબ્રુઆરીથી અમલમાં મુકવામાં આવ્યા છે. જો કે, જેમણે અગાઉથી લગ્ન નોંધાવી દીધા છે તેઓ માટે જુના નિયમ યથાવત્ રહેશે, જ્યારે નવા નોંધાતા તમામ લગ્નો નવા નિયમોને આધીન રહેશે. પ્રમુખ બેચરભાઈ કે. હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર અને ચેરમેન એ.કે. પટેલ દ્વારા જણાવાયું છે કે આ નિર્ણયનો હેતુ સમાજહિતનું રક્ષણ, દાતાઓના યોગદાનનો યોગ્ય ઉપયોગ અને યોજનાની પવિત્રતા જાળવવાનો છે.









