સિઝેરિયન બાદ તબિયત બગડતા રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા.
મોરબી તાલુકાના બેલા ગામે એસ્ટોનીયા ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ યુપીના વતની મહિલાનું પ્રસૃતિ બાદ સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું હતું. હાલ તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલા એસ્ટોનીયા સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા સુમનકુમારી રાજકુમાર રામખીલવાન બાસખોર ઉવ.૩૨ મુળ લખુરા ગામ તા.મધુવન જી.મહુ ઉત્તરપ્રદેશના વતનીને ગત તા.૧૪ માર્ચે પ્રસૃતિ દરમ્યાન સિઝેરિયન ઓપરેશન કરવું પડ્યું હતું. ઓપરેશન બાદ વધારે પડતો રક્તસ્ત્રાવ થવાને કારણે તેની તબિયત લથડતા પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ અને અંતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









