ગુજરાત સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલની શરૂઆત કરી છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં દર શનિવારે ‘બેગલેસ ડે’ ઉજવવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ પરનું શૈક્ષણિક ભારણ ઘટાડવાનો છે. ત્યારે બેગલેસ ડે અંતર્ગત મોટીબરાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેતરની મુલાકાત કરી હતી,
ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ રસપ્રદ બનાવવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓને ખેતરની મુલાકાત કરાવવામાં આવી હતી.
આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ ખેતરમાં પાક ઉત્પાદન કેવી રીતે થાય છે ? તેની પ્રત્યક્ષ જાણકારી મેળવી. ખેડૂતોએ જમીન ખેડવાની પદ્ધતિ, બી વાવવાની રીતો, સિંચાઈ પ્રણાલી, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ, તેમજ પાક તૈયાર થયા બાદની પ્રક્રિયાઓ વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યું. વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક વાતાવરણમાં શીખવાની નવી અનુભૂતિ મેળવી. આ મુલાકાતથી બાળકોમાં ખેતી પ્રત્યે રસ વધ્યો અને ખેડૂતના પરિશ્રમનું મૂલ્ય સમજાયું હતું. શાળાના આચાર્ય અનિલ બદ્રકિયાએ જણાવ્યું કે, આવા પ્રયોગાત્મક શૈક્ષણિક કાર્યક્રમોથી બાળકોમાં જ્ઞાન સાથે જીવન મૂલ્યો પણ વિકસે છે. વિદ્યાર્થીઓ માટે આ એક યાદગાર અને પ્રેરણાત્મક અનુભૂતિ રહી.