હળવદ તાલુકાના સુખપર ગામ નજીક વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં મોરબીથી સુરેન્દ્રનગર જીલ્લાના હિમતપુરા ગામે કુળદેવી માતાજીએ ચાલીને જઈ રહેલા બે સગા ભાઈઓને સુખપર ગામ નજીક પાછળથી આવતા ટ્રકે ઠોકરે ચડાવ્યા હતા, જેમાં એક ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે બીજા ભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાસી ગયો હતો ત્યારે કોઈ બોલેરો વાળાએ ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને પકડી લેવામાં આવ્યો હતો.
હળવદના સુખપર ગામ નજીક હિટ એન્ડ રન અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર રહેતા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના હિમતપુરા ગામના વતની ઘનશ્યામભાઈ પોપટભાઈ વિરમગામા ઉવ.૪૭ અને તેમના ભાઈ રાણાભાઈ એમ બંને ભાઈઓ ગત તા.૨૪/૦૯ના રોજ મોરબીથી હિમતપુરા કુળદેવી માતાજીના દર્શનાર્થે પગપાળા ચાલીને નીકળ્યા હતા, જે બાદ રાતના હળવદના સુખપર બસસ્ટેન્ડ પહોંચ્યા ત્યારે ત્યાં સુઈ ગયા હતા અને બીજે દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે સુખપરથી ચાલીને નીકળ્યા હતા તે દરમિયાન સુખપર ગામ નજીક હાઇવે રોડની સાઈડમાં એક બોલેરોમાં અમુક માણસો મેઇન્ટેનસ કામ કરી રહ્યા હતા, ત્યારે પગપાળા ચાલીને જઈ રહેલા ઘનશ્યામભાઈ અને રાણાભાઈને પાછળથી આવતા ટ્રક રજી.નં. જીજે-૧૨-બીવી-૫૧૩૪ના ચાલકે પોતાનો ટ્રક બેદરકારી તથા ગફળતભરી રીતે ચલાવી આવી બન્ને ભાઈઓને હડફેટે લઈ પોતાનો ટ્રક લઈને નાસી ગયો હતો, બોલેરો ગાડીને પણ ટ્રકે ટક્કર મારી હતી, ત્યારે બોલેરો ગાડી દ્વારા ટ્રકનો પીછો કરી થોડે દુર ટ્રક ચાલકને ટ્રક સહિત પકડી લેવામાં આવ્યો હતો.
જ્યારે, બીજીબાજુ અકસ્માત મામલે રાણાભાઈને માથાના ભાગે ઇજાઓ પહોચતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી ઘનશ્યામભાઈને ૧૦૮ મારફત સારવાર અર્થે ધ્રાંગધ્રા બાદ વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ હળવદ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.