હળવદ- માળીયા હાઇવે ઉપર માર્ગ અકસ્માતના બનાવમાં પ્રતાપગઢ ગામ પાસે રોડ સાઈડના ખાડામાં એક સીએનજી રીક્ષા પલ્ટી ખાઈ જતા, રીક્ષામાં ચાલક સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતક મહિલાના પતિની ફરિયાદને આધારે પોલીસે રીક્ષા-ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા(મી) તાલુકાના જુના માણાબા ગામે રહેતા લાલિતભાઈ વલ્લભદાસ નિમાવત ઉવ.૪૧ એ હળવદ પોલીસ મથકમાં સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૨૩૦૯ ના ચાલક આરોપી અજયભાઈ હરજીવનદાસ નિમાવત રહે.માણાબા તા.માળીયા(મી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૪/૦૬ના રોજ ફરિયાદી લલિતભાઈના પત્ની પદ્માબેન અને તેમનો દીકરો ઉત્તમ તેમના કાકાના દીકરા અજયભાઈની પત્ની એમ બધા લલિતભાઈના કાકાના દીકરા આરોપી અજયભાઈની સીએનજી રીક્ષામાં ચુલી ગામ નજીક આવેલ વોટરપાર્કમાં જતા હતા. ત્યારે માળીયા-હળવદ હાઇવે રોડ ઉપર આરોપી અજયભાઈએ પોતાની સીએનજી રીક્ષા પુરઝડપે ચકાવી જતા હોય તે દરમિયાન પ્રતાપગઢ ગામ નજીક રોડ સાઈડમાં આવેલ ખાડામાં સીએનજી રીક્ષા પલ્ટી ખાઈ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં ફરિયાદી લલિતભાઈની પત્નીને માથામાં ગંભીર ઇજા પહોચતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે આરોપી રીક્ષા ચાલકને અને તેમના પત્નીને ખંભામાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી, અને લલિતભાઈના દીકરા ઉત્તમને પગમાં મૂંઢ ઇજાઓ પહોંચી હતી. હાલ હળવદ પોલીસે આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ બીએનએસ તેમજ એમ.વી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.