માળીયા(મી) તાલુકાના સોનગઢ ગામના પાટિયા નજીક રાત્રે થયેલા અકસ્માતમાં ટ્રક ટ્રેઇલરની પાછળ બે મોટરસાયકલો ભટકાતા એક મોટર સાયકલ ચાલક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે બીજા મોટર સાયકલ ચાલક અને પાછળ બેસેલ વ્યક્તિ સહિત બે જણને ઇજા થઈ હતી. ત્યારે ટ્રક ચાલક દ્વારા બન્ને મોટર સાયકલ ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કર્યો છે.
મળતી વિગતો અનુસાર, અંજાર તાલુકાના અંજાર જમુના પાર્ક વિસ્તારમાં રહેતા શંકરભાઈ હિરજીભાઈ મહેશ્વરી ઉવ.૩૩ કે જેઓ ટ્રક ડ્રાઈવર તરીકે છેલ્લા પાંચ વર્ષથી કામ કરે છે. ત્યારે ગત તા.૩૦ ઓગસ્ટની રાત્રે તેઓ કરણી કૃપા ટ્રાંસપોર્ટની ટ્રક-ટ્રેઇલર રજી. નં. જીજે-૩૯-ટી-૯૬૯૨ લઈને માળીયા શ્રીરામ સોલ્ટમાંથી મીઠું ભરી દેવભૂમિ દ્વારકા જીલ્લાના કુરંગા ગામની ઘડી કંપની તરફ જઇ રહ્યા હતા. ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં માળીયા(મી) તાલુકાના સોનગઢ પાટિયાથી પીપળીયા ચાર રસ્તા આગળ પહોંચ્યા હતા ત્યારે ટ્રકની પાછળથી જોરદાર અથડામણનો અવાજ આવ્યો હતો, જેથી શંકારભાઈએ ટ્રક રોકી બહાર આવ્યા ત્યારે ટ્રક પાછળ બે મોટરસાયકલો જેમાં હિરો સ્પ્લેન્ડર રજી. નં. જીજે-૩૬-એએન-૩૧૮૪ અને બજાજ પલ્સર રજી. નં. જીજે-૩૬-ઈ-૮૩૩૫ ભટકાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ અકસ્માતમાં એક મોટરસાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર જ તેનું મોત થયું હતું. જ્યારે બીજા મોટરસાયકલ ચાલક તથા તેની પાછળ બેઠેલા વ્યક્તિને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હતા.
જે બાદ અકસ્માતના બનાવ બાબતે ટ્રક ડ્રાઈવર શંકારભાઈએ માળીયા(મી) પોલીસ મથકમાં ઉપરોક્ત બન્ને મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પોતાની સાઇડમાં સાવચેતીથી ટ્રક હંકારી રહ્યા હતા, ત્યારે બન્ને મોટરસાયકલ ચાલકો બેફીકરાઈથી અને વધુ ઝડપે વાહન ચલાવીને આવી ટ્રક પાછળ અથડાયા હતા. આ બનાવને પગલે એકનું મોત અને બે ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા. હાલ માળીયા(મી) પોલીસે આરોપી બન્ને મોટર સાયકલ ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.