મોરબી તાલુકાના નવા નાગડાવાસ ગામ નજીક અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં કાર ચાલક દ્વારા કારને ઓવર સ્પીડમાં ચલાવતા અચાનક રોડ ઉઓર કાર ઉપર કાબુ ગુમાવતા, કાર પલ્ટી મારી ગઈ હતી, જેમાં કારમાં સવાર કોલેજના પ્રોફેસરનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે કાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, ત્યારે સમગ્ર અકસ્માતના મામલે મૃતકની પત્નીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના બલીયા જીલ્લાના શિવસદન બડકી મઠીયા ગામના વતની ક્રિષ્નાબેન કૃષ્ણાચંદ્ર દ્વિવેદી ઉવ.૪૧ એ તાલુકા પોલીસ મથકમાં સ્વીફ્ટ ડિઝાયર કાર રજી.નં. જીજે-૦૩-બીવાય-૨૪૦૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જીલ્લાના ચંદુવાવ ગામ ખાતે આવેલ નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને ડાયરેક્ટર તરીકે નોકરી કરતા કૃષ્ણાચંદ્ર દ્વિવેદી ગઈ તા.૨૬/૦૫ના રોજ ગાંધીધામના આદિપુરમાં આવેલ કોલેજ ખાતે ઇન્સ્પેકશન સબબ જવાનું હોય જેથી તેઓ ઉપરોક્ત કારમાં જતા હોય ત્યારે કાર ચાલક ગૌરાંગભાઈ મજેઠીયા કાર ચલાવતા હોય તે દરમિયાન મોરબી તાલુકાના નવા નાગડાવાસ ગામ નજીક ઉપરોક્ત કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં કૃષ્ણાચંદ્ર દ્વિવેદીનું માથામાં ગંભીર ઇજાને કારણે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે કાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાલ તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.