મહારાષ્ટ્રમાં મરાઠી અને ગુજરાતી ભાષાના વિવાદના મુદ્દા પર જેનું નામ મોખરે છે તેવા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના એક નિવેદનથી ગુજરાતમાં રોષ વ્યાપ્યો છે. જેને લઈ આજ રોજ પાટીદાર યુવા સેવા સંઘ-મોરબી દ્વારા આજ રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પી.આઇને લેખિત રજૂઆત કરી રાજ ઠાકરેની ગુજરાતમાં પ્રવેશબંધી કરવા માંગ કરવામાં આવી છે.
પાટીદાર યુવા સેવા સંઘ-મોરબી દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પી.આઇને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, મુંબઇના એક જાહેર કાર્યક્રમની અંદર રાજ ઠાકરે(મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ) દ્વારા દેશના પનોતા પુત્ર તેમજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ પર અપમાનિત નિવેદન જાહેર કાર્યક્રમમાં આપવાથી ગુજરાત તેમજ દેશના રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાણી હોય તેમજ રાજઠાકરે જેવા બે કોડીના નેતા જેનુ મુંબઇમાં પણ કોઇ સ્થાન નથી તેવા લોકો સરદાર પટેલને શું માને છે શુ નથી માનતા તેનાથી આ રાષ્ટ્રની સરદાર પ્રેમી જનતાને કોઇ ફેર પડતો નથી સરદાર લોહપુરુષ હતા છે અને રાષ્ટ્ર માટે રહેશે. તો પાટીદાર યુવા સેવા સંઘ મોરબી એવી માંગણી કરે છે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજ ઠાકરેને ગુજરાતમાં કાયદાકીય રીતે પ્રવેશબંધી કરવામાં આવે. આ સાથે રાજઠાકરે રાષ્ટ્રના પનોતા પુત્ર સરદાર પટેલ સાહેબ તેમજ ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઇની જાહેરમાં માફી માંગે તેમજ જો રાજઠાકરે માફી ના માંગે તો રાષ્ટ્રના નાયકના અપમાન બદલ રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી ગંભીર કલમો લગાવી રાજઠાકરેને જેલના સળીયા પાછળ ધકેલવાની માંગણી કરીએ છીએ.