ટંકારામાં ખેડૂતોને ઓરિયા ધોરીયાની પાણીની પાઈપલાઈન માટે મંજૂરી મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય ગોધાણી ભુપેન્દ્ર દામજીભાઈએ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, ટંકારા ગ્રામપંચાયત સમયગાળા દરમિયાન ખેડૂતોને ઓરિયા ધોરીયાની પાંચ સાલની પાણીની પાઈપલાઈન માટે તાલુકા પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.જોકે ટંકારા નગરપાલિકા બન્યા બાદ હાલ સ્થિતિ એવી ઉભી થઈ છે કે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મામલતદાર કચેરી – ત્રણેયમાંથી કોઈ પણ વિભાગ દ્વારા સ્પષ્ટ રીતે મંજૂરી આપવામાં આવી રહી નથી. આ કારણે ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. અનેક ખેડૂતોએ નવી મંજૂરી તેમજ જૂની મંજૂરીના રિન્યુઅલ માટે અરજીઓ કરવાની હોય છતાં યોગ્ય સત્તાવાળું તંત્ર નક્કી ન થતાં તેઓ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. જેને લઇ જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય દ્વારા મામલતદારને કરવામાં આવેલી રજૂઆતમાં આ પ્રશ્નને તાલુકા સંકલન બેઠકમાં લઈ તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.









