મોરબી જિલ્લાની વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તાત્કાલીક અસરથી મતદાર ક્ષેત્ર છોડી દેવા અને તે મતદાર ક્ષેત્રમાં ન રહેવા પર આદેશો કર્યા છે.
ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના વિસ્તાર બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જે તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૨૯/૧૧/૨૦૨૨ ના સાંજના ૦૫:૦૦ વાગ્યા પછીથી તાત્કાલીક ધોરણે મોરબી જિલ્લા વિસ્તાર છોડી જતા રહેવા જણાવાયું છે.
આ જાહેરનામાની અમલવારી સુનિશ્ચિત કરવા મોરબી જિલ્લાના વિસ્તારમાં પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાર્વજનીક સભા ખંડો, હોટલ, રેસ્ટોરન્ટ, વીસી અને અતિથિગૃહોની ઘનિષ્ઠ તપાસણી કરવી તથા મતદાર વિભાગની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવતા વાહનોની અવર-જવર પર દેખરેખ અને તપાસ રાખી, ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલ કોઈ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહી હોવાની ખાતરી કરવા પણ જણાવાયું છે.
રાજકીય પક્ષના રાજય કક્ષાના ઈન્ચાર્જ પદાધિકારીઓએ રાજ્યના હેડ કવાર્ટરમાં રોકાવાના હોય તે સ્થળ જાહેર કરવાનું રહેશે, તથા સામાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવક-જાવક કરી શકશે.