રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – મોરબી દ્વારા નવરાત્રીના આ પાવન પર્વે પર મોરબીમાં 143 થી વધુ અનુસૂચિત જાતિ અને અન્ય સમાજની કન્યાઓનું પૂજન કરી સામાજિક સમરસતાનો જીવંત સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – મોરબી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે સામાજિક સમરસતા ગતિવિધિ અંતર્ગત મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ સંઘના 70થી વધુ કાર્યકર્તાઓના ઘરોમાં, 143થી વધુ કન્યાઓનું પૂજન કરાયું હતું.
જેમાં અનુસૂચિત સમાજની શક્તિ સ્વરૂપ કન્યાઓને આમંત્રિત કરીને કન્યાનું પૂજન કરવામાં આવ્યું હતું. દરેક કન્યા પોતાના વાલીની હાજરીમાં, કાર્યકર્તાના ઘરમાં પૂજાના ભાગીદાર તરીકે ઉપસ્થિત રહી અને ઘરઆંગણે યોજાયેલા પૂજનના કાર્યક્રમ દ્વારા માતૃશક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું. માતૃશક્તિ પૂજન દ્વારા આપણી સનાતન સંસ્કૃતિમાં ધર્મ જાગરણનું કાર્ય પરિવારથી સમાજ સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આવતા સમયમાં આ ભગીરથ કાર્ય પ્રત્યેક પરિવાર સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા “સામાજિક સમરસતા”, “સહઅસ્તિત્વ” અને “મુલ્યમય સંસ્કાર”ના ભાવને વધાવવાનો સંઘનો પ્રયાસ રહ્યો હતો. દરેક કન્યાને તિલક, આરતી, પ્રસાદ તથા સાદર ભેટ આપીને સન્માનિત કરવામાં આવી હતા, આ સમગ્ર સમરસતા સભર કાર્યક્રમમાં પરિવારના સભ્યો પણ જોડાયા.