ચોટીલાથી દર્શન કરી રાજકોટ પરત ફરી રહેલા મિત્રોને નડ્યો ભયાનક અકસ્માત.
વાંકાનેર બાઉન્ડ્રી નજીક દેવાબાપાની જગ્યા પાસે હાઇવે પર ટ્રક-ટ્રેઇલરના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી કાવું મારતા, રીક્ષાને સાઈડમાંથી જોરદાર ટક્કર વાગતા, રીક્ષા પલટી મારી ગયી હતી. ત્યારે રીક્ષા સવાર એક યુવક ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે રીક્ષા ચાલક સહિત અન્ય મિત્રો ઘાયલ થયા છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે મૃતક યુવકના ભાઈની ફરિયાદને આધારે આરોપી ટ્રક-ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર: ચોટીલા ખાતે દર્શન કરી રાજકોટ પરત આવી રહેલા મિત્રોને વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં દેવાબાપાની જગ્યા પાસે પેટ્રોલ પંપ સામે હાઇવે રોડ પર ટ્રક-ટ્રેઇલર રજી. નં. જીજે-૩૯-ટીએ-૫૧૪૭ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રીક્ષાની બાજુમાંથી સાઈડ કાપીને નીકળતા રીક્ષા સાથે અથડામણ કરી હતી. ટક્કર બાદ સી.એન.જી. રીક્ષા રજી. નં. જીજે-૧૧-યુયુ-૩૬૬૫ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ગોવિંદભાઇ સોલંકી ટ્રક-ટ્રેઇલર નીચે આવી જતા તેના ઉપરથી ટ્રકનો જોટો ફરી વળ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રીક્ષા ડ્રાઇવર તેમજ રીક્ષામાં સવાર કૌશિકભાઇ, મયુરભાઇ, વિવેકભાઇ, કેતનભાઇ, ઉતમભાઇ સહિતના મિત્રોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. સમગ્ર અકસ્માતની ઘટના મામલે મૃતકના ભાઈ મોહનભાઇ બાબુભાઇ સોલંકી હાલ રહે. સાપર પુલથી આગળ રાજકોટ મૂળરહે. ચીખલી તા.ઉના જી.ગીર સોમનાથ વાળા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









