વાંકાનેર નજીક જોધપર ખારી પુલ પાસે જેસીબીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી આવી, જોરદાર કાવું મારતા બાજુમાંથી પસાર થતી સીએનજી રીક્ષાને સાઈડમાંથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રીક્ષા પલટી મારી જતા, જેમાં રીક્ષામાં સવાર ચાલક સહિત તમામ રોડ ઉપર પટકાયા હતા. જેમાં એક મહિલાનું માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલક સહિત ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી જેસીબી ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
વાંકાનેર તાલુકાના જોધપર ખારી પુલ નજીક બનેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. બનાવ અંગે વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા કાનાભાઈ નાગજીભાઈ ચાવડા ઉવ.૨૨એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૨૭/૦૩ના રોજ સાંજે તેઓ પોતાની સીએનજી રીક્ષા નં. જીજે-૦૩-બીયુ-૭૩૧૯ લઈને થાન ચોકડી પાસે આવેલા હેમપેન્ટ કારખાનેથી પોતાના ગામ કોઠી તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમની સાથે તેમની બહેનો રેખાબેન અને સોનલબેન તેમજ કૌટુંબિક બહેનો આરતીબેન અને માનસીબેન બેઠેલા હતા. જે બાદ જોધપર ખારી પુલ પાસે નવા પેટ્રોલ પંપ સામે પહોંચતા, તે દરમિયાન જેસીબી નં. જીજે-૧૩-એડી-૨૧૦૯ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી કાવું મારી રીક્ષાને સાઇડમાંથી જોરદાર ઠોકર મારી હતી. આ કારણે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. આ
અકસ્માતમાં રીક્ષા ચાલક કાનાભાઈના બહેન રેખાબેનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. ઉપરાંત સોનલબેનને નાકમાં ફેક્ચર, જ્યારે અન્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ જેસીબી ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી ભાગી ગયો હતો. હાલ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી જેસીબી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક જારવા ચક્રો ગતિમાન કર્યા છે.









