સાયબર ફ્રોડ અને સુરક્ષિત બેંકિંગ અંગે નાગરિકોને જાગૃત કરાયા
RBI ના માર્ગદર્શન હેઠળ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને LDM મોરબીના સંયુક્ત ઉપક્રમે ગ્રીન ચોકથી પરાબજાર સુધી રેલીનું આયોજન
KYC પ્રક્રિયા, બેંક ખાતાની સુરક્ષા અને ‘મ્યુલ એકાઉન્ટ’ જેવી કાનૂની ગૂંચવણોથી બચવા બેંકિંગ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું.
મોરબી: ભારતીય રિઝર્વ બેંક દ્વારા તા. ૦૯ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર દેશમાં ‘નાણાકીય સાક્ષરતા સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબીના નાગરિકોમાં નાણાકીય વ્યવહારો અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રીજનલ ટીમ તથા મોરબી લીડ બેંકના સંયુક્ત સહયોગથી ગ્રીન ચોકથી પરાબજાર સુધી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના આયોજન થકી વર્તમાન સમયમાં વધતા જતા ડિજિટલ વ્યવહારો વચ્ચે ગ્રાહકોને સુરક્ષિત બેંકિંગનો અનુભવ કરાવવાનો હતો. રેલી દરમિયાન બેંક અધિકારીઓએ નાગરિકોને કેવાયસી અને સી-કેવાયસી પ્રક્રિયાની અનિવાર્યતા, બેંક ખાતાની સુરક્ષાના વિવિધ પાસાઓ અને સાયબર ફ્રોડથી બચવાના અસરકારક ઉપાયો વિશે માહિતગાર કર્યા હતા. ખાસ કરીને ‘મ્યુલ એકાઉન્ટ’ એટલે કે બીજાના નાણાકીય વ્યવહારો માટે પોતાના ખાતાનો ઉપયોગ કરવા દેવાની જોખમી પ્રવૃત્તિ અને તેની ગંભીર કાનૂની અસરો અંગે લોકોને વિશેષ રૂપે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ રેલી દરમિયાન બેંકના સ્ટાફ દ્વારા સૂત્રોચ્ચાર અને પત્રિકાઓ દ્વારા નાગરિકોને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે બેંકિંગ વિગતો શેર ન કરવી અને સાયબર ઠગાઈનો ભોગ બનતા તુરંત સત્તાવાર હેલ્પલાઈનનો સંપર્ક કરવા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોરબીના જનતા તરફથી આ અભિયાનને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ રેલીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રીજનલ હેડ મોહન કૃષ્ણ અને તેમની ટીમ તથા લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર-મોરબી સાકીર છીપા તથા મોરબીના નાગરિકો જોડાયા હતા.









