મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના સાત ગામ પંચાયત અને માનવાધિકાર ઓર્ગેનાઈજેશન દ્વારા રફાળેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારીને પત્ર લખી મોરબી જીલ્લાના માળિયા તાલુકાના વર્ષામેડી ગામે મેસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સંચાલિત સિમેન્ટ પ્લાન્ટને તાત્કાલીક ધોરણે અટકાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામ પંચાયત, વવાણીયા ગામ પંચાયત, ચમનપર ગામ પંચાયત, નાના ભેલા ગામ પંચાયત, ભાવાપર ગામ પંચાયત, બગસરા ગામ પંચાયત, મોટાભેલા ગામ પંચાયત અને માનવાધિકાર ઓર્ગેનાઈજેશન માળીયા મિયાણા તાલુકા પ્રમુખ કાનજીભાઈ લોખીલે રફાળેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારીને પત્ર લખી માળિયા તાલુકાના વર્ષામેડી ગામે મેસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા થતાં સિમેન્ટ પ્લાન્ટને તાત્કાલીક ધોરણે અટકાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે. વર્ષામેડી ગામે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા મેસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને સિમેન્ટ પ્લાન્ટ બનાવવા માટેની મંજુરી આપવામાં આવી છે. જેનું કામ હાલ મેસર્સ વાસુકી સિમેન્ટ પાઈવેટ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જે પ્લાન્ટની આસપાસના ગામોના વિસ્તારના લોકો ખેતી, માછીમારી તથા પશુપાલન કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. આ સિમેન્ટ પ્લાન્ટની આસપાસ જંગલ વિસ્તાર તેમજ દરિયાઈ વિસ્તાર આવેલો છે. જેમાં ઘણા બધા વન્ય પાણી તથા જળચર પ્રાણીઓ નિવાસ કરે છે. આ સિમેન્ટ પ્લાન્ટ શરૂ કરવા અંગે મેસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા લોક સુનવણી તા.૧૭/૦૬/૨૦૨૫ ના રોજ રાખવામાં આવી છે. જે અંગેની કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. જો આ સિમેન્ટ પ્લાન્ટ શરૂ થાય તો માળીયા તાલુકાના ખેતી, માછીમારી તથા પશુપાલન ઉપર નિર્ભર લોકોને આર્થિક રીતે મોટું નુકશાન થાય તેમ છે. તેમજ આસપાસના તમામ ગામલોકોની રોજીરોટી છીનવાઈ જાય તેમ છે. અને લોકોના આરોગ્યને નુકશાન થઇ શકે છે. પ્લાન્ટ શરૂ થવાથી જ આસપાસના વન્ય પાણી તથા જળચર પ્રાણીઓનો નાશ થવાની સંભાવના છે. વધુમાં ભારત સરકાર પર્યાવરણ તથા જંગલને બચાવવા માટે કરોડો રૂપિયાની જોગવાઈઓ આપણા બજેટમાં કરવામાં આવે છે. ત્યારે આવા પ્રાજેક્ટને મંજુરી આપી પર્યાવરણ તથા જંગલને નષ્ટ કરવા માટેના પ્રયાસો કરતી કંપનીઓને આ વિસ્તારમાં શરૂ કરવી કેટલા અંશે યોગ્ય…? જે રજુઆતને ધ્યાને લઈ મેસર્સ વાસુકી સિમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા થતાં સિમેન્ટ પ્લાન્ટને તાત્કાલીક ધોરણે અટકાવવા વિનંતી કરાઇ છે. જો આ સિમેન્ટ પ્લાન્ટને તાત્કાલીક ધોરણે અટકાવવામાં નહી આવે તો ના છુટકે જન આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે