હળવદની જુની શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન પાસે શાકભાજીની હરરાજી કરવાની ના પાડતા વેપારી પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ દુકાનમાં ઘુસી લોખંડના પાઈપથી માર મારી વેપારી અને સાહેદને ઈજાગ્રસ્ત કર્યા હતા, જેમાં વેપારીના અંગૂઠાને ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક નામ જોગ તથા ચાર અજાણ્યા સહિત પાંચ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના સરા રોડ ઉપર પ્રમુખસ્વામી નગરમાં રહેતા અનીલભાઈ માણેકભાઈ મેઢા ઉવ.૫૫ નામના વેપારીએ જૂની શાકમાર્કેટમાં પોતાની દુકાન આગળ શાકભાજીની હરરાજી કરવાની ના પાડી હતી. આ બાબતનો ખાર રાખી આરોપી સુનીલ પ્રતાપભાઈ રબારી રહે. જૂની મામલતદાર કચેરી સામે હળવદ વાળા તથા અન્ય ચાર શખ્સોએ બપોરે દુકાનમાં ઘુસી હુમલો કર્યો હતો. આરોપીઓએ વેપારી અનિલભાઈને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ લોખંડના પાઈપ વડે હુમલો કરતાં વેપારી અને તેની સાથે દુકાનમાં હાજર પુનીતને ઈજાઓ પહોંચી હતી. જેમાં વેપારીના હાથના અંગૂઠામાં ગંભીર ઇજા પહોંચી હતી. હાલ હળવદ પોલીસે પાંચેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.









