મોરબી શહેરનો મુખ્ય પાડા પુલ હાલ અત્યંત જોખમી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. પુલ પર અનેક જગ્યાએ મોટા ખાડા અને તિરાડો પડેલ હોવાથી રોજિંદા વાહનચાલકો અને પગપાળા જતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત આપવામાં આવી છે.
કલેક્ટરને પાઠવાયેલ આવેદનમાં સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરશભાઈ કોટેચા સહિત અન્યોએ જણાવ્યું છે કે, મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી પસાર થતા લોકો માટે પાડા પુલ મહત્વનો માર્ગ છે. પરંતુ પુલની હાલની ખસ્તા સ્થિતિને કારણે દિવસમાં ત્રણથી ચાર વખત અવરજવર કરવી પણ જોખમરૂપ બની ગઈ છે. અરજીમાં જણાવ્યા અનુસાર, ખાડા અને તિરાડોના કારણે વાહનચાલકો પડી જવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે હાથ-પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઇજા અને જીવલેણ અકસ્માત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. પુલ પરથી ભારે વાહનો સતત પસાર થતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ નાગરિકોમાં ફેલાઈ છે. સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે, પાડા પુલ પર તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવે, મચ્છુ નદી પર આવેલા વિકલ્પ પુલ પરથી અવરજવર ડાયવર્ટ કરવામાં આવે, અને પાડા પુલનું રીનોવેશન/રીપેરીંગ કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. આ બાબતે મોરબી-માળિયા વિસ્તારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાને પણ જાણ કરવામાં આવી હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંતમાં સામાજિક કાર્યકરોએ ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં જિલ્લા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી અને જાહેરનામું બહાર પાડવામાં નહીં આવે તો સ્થાનિક નાગરિકો સાથે મળી રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. તેમજ સામાજિક કાર્યકરોએ નાગરિકોએ જનહિતમાં તાત્કાલિક પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે.









