કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર શેરી ફેરિયાઓને બેંક દ્વારા લઘુ ધિરાણ, આજીવિકા વધારવાનો અવસર.
મોરબી શહેરના શેરી ફેરિયાઓ માટે કેન્દ્ર સરકારની પી.એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પી.એમ. સ્વનિધિ) યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વિના બેંક દ્વારા લઘુ ધિરાણ આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. ૧૫,૦૦૦ સુધીની લોન, નિયમિત ભરપાઈ પર વ્યાજ સહાય તથા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કેશબેકનો લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા ખાતે ઑનલાઇન અરજી કરી શકાશે.
મોરબી શહેરના શેરી ફેરિયાઓ પોતાની આજીવિકા મજબૂત બનાવી શકે અને વ્યવસાયને વધુ સારી રીતે આગળ ધપાવી શકે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પી.એમ. સ્વનિધિ) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં શેરી ફેરી પ્રવૃતિ કરતાં લોકોને કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર બેંક દ્વારા લઘુ ધિરાણ આપવામાં આવે છે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતાં અને શેરી ફેરિયાઓ તરીકે પોતાનું ગુજરાન ચલાવતા લોકોને આ યોજના દ્વારા વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ.૧૫,૦૦૦ની લોન મળશે, જેની નિયમિત અથવા સમય પહેલાં ભરપાઈ કરવાથી વાર્ષિક ૭ ટકા વ્યાજ સહાય (BDT)નો લાભ મળશે. સાથે સાથે ડિજિટલ નાણાંકીય લેવડ-દેવડ પર માસિક રૂ.૧૦૦ અને વાર્ષિક મહત્તમ રૂ.૧,૬૦૦ સુધીનું કેશબેક પણ મળવા પાત્ર રહેશે.
પ્રથમ લોનની ભરપાઈ થયા બાદ રૂ.૨૫,૦૦૦ની દ્વિતીય લોન તથા ત્યારબાદ રૂ.૫૦,૦૦૦ની તૃતીય લોન મળવા પાત્ર રહેશે. આ તમામ તબક્કા પૂર્ણ થયા પછી શેરી ફેરિયાને રૂ.૩૦,૦૦૦નું ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે ઉપરોક્ત કોઈ પણ લોન માટે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી આપવાની રહેશે નહીં. યોજનાની અરજી સંપૂર્ણપણે ઑનલાઇન રહેશે, જે www.pmsvanidhi.mohuda.gov.in વેબસાઇટ પર કરી શકાશે. લાભ લેવા ઇચ્છુક શેરી ફેરિયાઓએ આધારકાર્ડ, વેન્ડર કાર્ડ, બેંક પાસબુક, આધાર સાથે લિન્ક થયેલ મોબાઇલ નંબર તથા UPI ID (ફોનપે/ગૂગલપે) સાથે મોરબી મહાનગરપાલિકાની કચેરી, ખારાકૂવા શેરી સ્થિત સહયોગ કોમ્પ્લેક્ષમાં આવેલી ડે.એન.યુ.એલ.એમ./યુ.સી.ડી. શાખાનો સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધી સંપર્ક કરી શકશે. ઉપરાંત નજીકના CSC સેન્ટર પરથી પણ અરજી કરી શકાશે.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાના મેનેજરના જણાવ્યા અનુસાર, વધુમાં વધુ શેરી ફેરિયાઓ આ યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બને તે માટે પાલિકા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવશે.









