રાત્રીના હાઇવે પર આડસ કે સિગ્નલ વગર બંધ હાલતમાં ઉભેલ ટ્રકના ઠાઠામાં બાઇક સવાર ખેડૂતનું મૃત્યુ, ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબી-રાજકોટ હાઇવે પર હરબટીયાળી ગામ પાસે ટ્રકચાલકની બેદરકારીના કારણે એક ખેડૂતનું મોત થયું છે. બંધ ટ્રકના ચાલકે કોઈપણ ચેતવણી વગર અંધારામાં રોડ પર ટ્રક ઉભો રાખતા, જેના પાછળ સ્પ્લેન્ડર મોટર સાયકલ અથડાતા બાઇક ચાલકને માથા અને છાતી પર ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે સારવાર દરમિયાન ખેડૂતનું મોત થતાં તેના પુત્ર દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી જીલ્લામાં અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે. તાજેતરમાં મોરબી-રાજકોટ હાઇવે પર આવેલા હરબટીયાળી ગામ પાસે રોડ પર કોઈ આડશ કે સિગ્નલ વિના ઊભા રહેલા અશોક લેલન્ડ ટ્રકના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતની ફરિયાદ અનુસાર, ભાવેશભાઈ જસમતભાઈ મુછારા ઉવ.૩૪ રહે. હરબટીયાળી તા. ટંકારા વાળાના પિતા ગત તા.૧૮/૦૬ ના રોજ રાત્રીના સ્પ્લેન્ડર પ્લસ રજી. નં.જીજે-૩૬-એકે-૫૦૭૪ મોટર સાયકલ લઈને પોતાના ખેતરે આંટો માર્યા બાદ ઘેર પરત ફરી રહ્યા હતા. રાત્રે સાડા આઠેક વાગ્યે હરબટીયાળી ગામે પટેલ સમાજની વાડી સામેના હાઇવે પર અશોક લેલન્ડ ટ્રક રજી. નં. જીજે-૦૩-બીઝેડ-૧૯૮૦ના ચાલકે કોઈપણ સાઈડ લાઇટ કે ચેતવણી વિનાપોતાના હવાલા વાળો ટ્રક બંધ હાલતમાં રોડ ઉપર ઊભો રાખવામાં આવ્યો હતો. ત્યારે ટ્રક પાછળ મોટરસાયકલ ભટકાતાં બાઇક ચાલક ખેડૂતને છાતી અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ સારવાર દરમિયાન ખેડૂતનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુના બનાવની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે