Wednesday, February 11, 2026
HomeGujaratમોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના ૩૯માં સમૂહલગ્ન સંપન્ન, ૨૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના ૩૯માં સમૂહલગ્ન સંપન્ન, ૨૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા આજ રોજ ૧૦ ફેબ્રુઆરીએ ૩૯માં સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ મોરબીના રિવેરા સિરામિક ખાતે યોજાયા હતા, જ્યાં ૨૪ જેટલા નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.

- Advertisement -
- Advertisement -

મહાનુભાવોની ઉપસ્થિતિ:

આ સમૂહ લગ્ન પ્રસંગે અનેક રાજકીય અને વહીવટી અગ્રણીઓએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા, જેમાં મુખ્યત્વે કે.બી. ઝવેરી (મોરબી કલેક્ટર), નવલદાન ગઢવી (ડીડીઓ – જિલ્લા વિકાસ અધિકારી), જે.એમ. આલ (ડીવાયએસપી), વી.બી. દલવાડી (ડીવાયએસપી), ડે. ડીડીઓ એસ.સી. ભટ્ટ, મહામંડલેશ્વર રતનેશ્વરીદેવી, મહંત જયરાજનાથ, હડમતીયા મહંત મેહુલદાસબાપુ, રોહિત પ્રજાપતિ (આરટીઓ અધિકારી), મોહનભાઈ કુંડારિયા (ગુજરાત પ્રદેશ ભાજપ સહ-કોષાધ્યક્ષ), અરવિંદભાઈ વાંસદડિયા, જયંતીભાઈ રાજકોટિયા (જિલ્લા ભાજપ પ્રમુખ), પુષ્પરાજસિંહ જાડેજા (શહેર કોંગ્રેસ પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અધ્યક્ષતા નાથાભાઈ સવાડિયા દ્વારા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ મહેમાનોએ નવદંપતીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા અને સમૂહલગ્નના આ સામાજિક અભિગમને બિરદાવ્યો હતો.

નવદંપતીઓને કરિયાવરમાં ૧૩૦થી વધુ ચીજવસ્તુઓ ભેટ અપાઈ:

વરિયા પ્રજાપતિ જ્ઞાતિના ૩૯માં સમૂહલગ્ન અંગે વિગતો આપતા આયોજકોએ જણાવ્યું હતું કે, દરેક દીકરીને કરિયાવર પેટે ઘરવખરીની ૧૩૦થી વધુ ચીજવસ્તુઓ આપવામાં આવી છે. ભેટમાં ચાંદીના ઝૂડા અને સોનાના દાણા જેવી કિંમતી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.

સમૂહ લગ્નમાં પુસ્તક પ્રદર્શનનું આયોજન :

મોરબી વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં અનોખી પહેલ કરવામાં આવી હતી. આ પ્રસંગે છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. મંડળની લાઈબ્રેરીમાં ૨,૫૦૦ થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. લાઈબ્રેરીમાં ધાર્મિક, આધ્યાત્મિક, વાર્તાઓ, બાળવાર્તાઓ તેમજ GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકોનો સંગ્રહ છે. સમૂહ લગ્નમાં આવેલા ૧૦૦થી વધુ લોકો પોતાની પસંદગીના પુસ્તકો વાંચવા માટે ઘરે લઈ ગયા હતા.

વિવિધ શહેરોમાંથી સહભાગી:

આ સમૂહલગ્નમાં મોરબી ઉપરાંત થાન, વાંકાનેર અને રાજકોટ જેવા શહેરોમાંથી પણ દીકરીઓ જોડાઈ હતી.

આર્થિક બચતનો ઉદ્દેશ્ય:

સમૂહલગ્ન પાછળનો મુખ્ય હેતુ સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવાનો અને મધ્યમ વર્ગને આર્થિક ટેકો આપવાનો છે. આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ ગોકલભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઇ એમ. વારનેશિયા, ઈશ્વરભાઈ નારણીયા, વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના કાર્યકારી પ્રમુખ ભાવેશ વામજા સહિતના ૧૦૦ વધુ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!