હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક નવા બનતા કારખાનાના પટાંગણમાં ૧૭ નવેમ્બરના રોજ ઝેરી દવા પી કારખાનેદારે આપઘાત કર્યો હતો. માનસિક ત્રાસ, બાકી ઉઘરાણી અને વ્યાજખોરીને કારણે આત્મહત્યા માટે દબાણ કરાયું હોવાનો આક્ષેપ કરતા મૃતકની પત્નીએ હળવદ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો, ભાગીદારો સહિત ૧૦ જેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ભારતીય ન્યાય સહિતા મુજબની કલમ તથા મનીલેંડર્સ એક્ટ હેઠળ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસની ગતિ તેજ કરી છે.
હળવદના કેદારીયા ગામની સીમમાં લીઝોન એગ્રી પ્રોડક્ટ પ્રા.લિ.ના નવા બનેલા કારખાનાના બાંધકામ સ્થળે ૧૭ નવેમ્બરના રોજ નવણીતભાઈ રૂગનાથભાઈ આદ્રોજા નામના કારખાનેદારે ઝેરી દવા પી જીવનલીલા સંકેલી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. ત્યારે આ મામલે મૃતકની પત્ની હંસાબેન નવનીતભાઈ આદ્રોજા રહે. ઉમા સોસાયટી હળવદ વાળાએ આજે હળવદ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરવા મજબુર કરનાર આરોપીઓ (૧)શરદભાઇ વાલજીભાઇ પટેલ તથા (૨)સુરેશભાઇ વાલજીભાઇ પટેલ રહે.બંન્ને હળવદ મોરબી, (૩)ભરતભાઇ ગાંડુભાઇ ભટ્ટાસણા રહે.મોરબી, (૪)અનિલભાઇ મંગલ રહે. સેંધવા ગામ, મધ્ય પ્રદેશ, (૫)ગજાનનભાઇ જોષી રહે. રાધનપુર, (૬)સૌરભ રાઠી“રાઠી એંન્ટરપ્રાઇઝ” વાળા, (૭)ગીરીશભાઇ મહેશ્વરી(સૌરભ રાઠીના બનેવી), (૮)ઘેટીદાદા (ગજાનનભાઇનો માણસ, (૯)જગદીશભાઇ (મહાદેવ કેન્વાસીંગ વાળા, (૧૦)રામજીભાઇ(રામનીવાસ એન્ડ કુ. વાળા ) તથા તપાસમાં મળી આવે તે તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, મૃતક નવનીતભાઈ ઉપર જમીનની ડીલ, વ્યાજખોરી, વેપાર-ધંધાના બાકી રૂપીયા અને અલગ-અલગ માનસિક ત્રાસને કારણે તેઓએ ઝેરી દવા પી મોત વ્હાલું કર્યું હતું. ત્યારે ફરીયાદમાં જણાવ્યા મુજબ, આરોપી શરદભાઈ તથા સુરેશભાઈ પટેલને ખરીદ કરેલ જમીનની તમામ રકમ ચૂકવી આપેલ હોવા છતાં જમીનનો દસ્તાવેજ ન આપ્યો અને ઉલટું વધુ એક કરોડની માંગણી કરી હતી. તે જ રીતે આરોપી ભરતભાઈ ભટ્ટાસણા પાસેથી ઉંચા વ્યાજે લીધેલા પૈસાની ચુકવણી કરી દીધેલ હોવા છતા પણ સતત ઉઘરાણી ચાલુ રાખી હતી. અન્ય આરોપીઓ અનિલભાઈ મંગલ, ગજાનનભાઈ જોષી, સૌરભ રાઠી, ગીરીશભાઈ, ઘેટીદાદા, જગદીશભાઈ અને રામજીભાઈએ વેપાર-ધંધાના બાકી રૂપિયાને પગલે મૃતકને વારંવાર ધમકાવ્યા અને માનસિક ત્રાસ આપ્યો હતો. ત્યારે સતત માનસિક ત્રાસ, ધમકીઓ અને ઉઘરાણીથી કંટાળી મૃતકે અંતે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. હાલ હળવદ પોલીસે ફરિયાદને આધારે ૧૦ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતાની કલમ ૧૦૮, ૫૪, ૩૦૮(૨) તથા ગુજરાત મનીલેન્ડર્સ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.









