મોરબી જીલ્લામાં એક જ દિવસ દરમિયાન મોરબી સીટી, વાંકાનેર અને ટંકારા ગ્રામ્ય એમ અલગ-અલગ વિસ્તારોમાં પાંચ અપમૃત્યુના પાંચ બનાવ નોંધાતા જીલ્લામાં શોકની લાગણી ફેલાઈ છે. જેમાં બીમારીથી કંટાળી આપઘાત, અકસ્માતે પડી જતા મોત, પાણીમાં ડૂબી જવાથી મોતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે તમામ અપમૃત્યુના બનાવ અંગે સંબંધિત પોલીસ મથકે અ.મોતની નોંધ કરી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો અનુસાર, મોરબીના રવાપર રોડ ઉઓર સુભાષનગરમાં રહેતા ૫૩ વર્ષીય મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા છેલ્લા ચાર વર્ષથી સુગર ઘટી જવાની તકલીફથી પીડાતા હતા. લાંબા સમયની બીમારીથી કંટાળીને તેમણે લાતી પ્લોટ શેરી નં.૬-૭ ની વચ્ચસ આવેલ સાવન ટ્રેક્ટર ગેરેજ ખાતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ મોરબી લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા.
અપમૃત્યુના બીજા બનાવમાં મોરબી શહેરની અવની ચોકડી ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષીય ધનગૌવરીબેન કપડા સુકવવા માટે છઠ્ઠા માળે ગયા હતા. તે દરમિયાન કોઇ અગમ્ય કારણોસર તેમનો પગ લપસતા તેઓ અગાસી પરથી નીચે પડી ગયા હતા. પડવાથી તેમને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
જ્યારે ત્રીજા બનાવમાં મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે રહેતા ૨૫ વર્ષીય મનાલીબેન મોહનીસપરી ગોસાઈએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેમને સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવવામાં આવ્યા બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
ચોથા અપમૃત્યુના બનાવની પ્રલત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં કાસા સિરામિક પાછળ આવેલા ખાણના પાણીના તળાવમાં ૧૮ વર્ષીય કલ્પેશભાઈ દિનેશભાઈ હોથા રહે. રોલસ્ટોન પોલી પ્લાસ્ટ કારખાનામાં સરતાનપર રોડ તા.વાંકાનેર મુળ રહે.નાપડા તા.ભીલોડા જી.અરવલ્લી અકસ્માતે પગ લપસી જતા પડી ગયા હતા. જેથી તેઓનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. આ બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત, ટંકારા તાલુકાના વિરપર ગામમાં રહેતા ૩૭ વર્ષીય નેહલબેન રાજેશભાઇ સવજીભાઈ બાવરવાના સાસુ જબુબેનને હાર્ટએટેક આવતા તેઓને હાથ-પગમાં સોજા ચડતા હોય તેમજ તેઓ છેલ્લા એક વર્ષથી પથારી વશ હોય અને આથી નેહલબેન તેઓની સેવા ચાકરી કરતા હોય જેના કારણે તેઓ ક્યાંય બહાર ગામ જઇ શકતા ન હોય અને સતત વિચારવાયુ કરતા હોય જેથી માનસિક તણાવને કારણે નેહલબેને પોતે પોતાની રીતે ઘઉમાં નાખવાનો પાઉડર પાણીમાં ઓગાળીને પી જતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં હાજર તબીબે તેઓને મરણ ગયાનું જાહેર કર્યું હતું.









