મોરબી જીલ્લામાં ગઈકાલ તા.૨૮/૦૫ ના રોજ અલગ અલગ ચાર અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે, જેમાં મોરબી શહેર, વાંકાનેર ગ્રામ્યમાં બે મહિલા તથા મોરબી ગ્રામ્ય અને હળવદ સહિત ચાર વ્યક્તિના અકાળે મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, હાલ જીલ્લા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રથમ અપમૃત્યુ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, પંચમહાલ જીલ્લા ના મોટા ભામૈયા ગામના વતની હાલ મોરબી શહેરના રણછોડનગર પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા દક્ષાબેન હેતુલભાઈ ભારતભાઈ પટેલ નામની ૨૫ વર્ષીય પરિણીતા ગઈ તા.૨૫/૦૫ ના સાંજે પોતાના રહેણાંકમાં કચરા-પોતા કરતા હોય તે દરમિયાન ટાઇલ્સ ઉપર ઢોળાયેલ પાણીમાં પગ આવતા દક્ષાબેન જમીન ઉપર પટકાયા હતા, ત્યારે માથામાં ગંભીર ઇજાઓ સબબ તાત્કાલિક પરિવારજનો સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા, જ્યાં ૩ દિવસની સારવાર કારગત ન નિવડતા દક્ષાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. દુર્ભાગ્યપૂર્ણ બનાવ અંગે બી ડિવિઝન પોલીસની તપાસમાં મૃતક પરિણીતાના ૩ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા, ત્યારે હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા અપમૃત્યુ અંગે મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ નજીક વાંકાનેર બાઉન્ડ્રીના પુલ ઉપરથી ગત તા.૨૭/૦૫ ના રોજ પડી ગયેલ સાવીત્રીબને ગમરીયા નીંગવાલ ઉવ.૫૫ રહે.ફલાસ ખેડી ફલીયા ખામટ ગામ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને ગંભીર હાલતમા સામુહિક આરોગ્ય કેન્દ્વ કુવાડવા ખાતે સારવારમા લઇ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર સ્ટાફે તુરંત સારવાર ચાલુ કરી હોય ત્યારે બીજે દિવસે તા.૨૮/૦૫ ના રોજ ચાલુ સારવાર દરમ્યાન સવિત્રીબેન મરણ જતા બનાવ બન્યા બાબતે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના ત્રીજા બનાવમાં, મોરબી તાલુકાના પાવડીયારી ગામે અમૂલ મિનરલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા કાલુરામ રમેશચંદ સરસીયા ઉવ.૩૯ ગઈકાલ તા.૨૮/૦૫ ના રોજ કોઈ બીમારી સબબ સુતા હોય બાદમાં જગાડતા જાગેલ નહિ, ત્યારે તેઓને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડતા હજાર ડોક્ટરે જોઈ તપાસી કાલુરામને મૃત જાહેર કર્યા હતા, બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા તુરંત પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી મૃત્યુ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની એન્ટ્રી કરી છે.
આ ઉપરાંત અપમૃત્યુ અંગેના ચોથા બનાવની મળતી વિગતો મુજબ, હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રમેશભાઈ અંબારામભાઈ પટેલની વાડીએ આપઘાતની દુઃખદ ઘટના સામે આવી છે. ખેત મજૂરી કરતા અર્જુનભાઈ મનસુખભાઈ નાયકનો દીકરો જયેશકુમાર ઉવ.૨૩ વારંવાર પોતાના મોબાઈલમાં પબજી ગેમ રમતો હોય અને ખેતીના કામથી દૂર રહેતો હોય જેથી ગઈકાલ તા.૨૮/૦૫ના રોજ બપોરે જમતી વખતે પિતાએ આપેલ ઠપકા અંગે દુખી થયેલા જયેશકુમારે પોતાના ઘરના ઓરડીમાં લોખંડની એંગલ સાથે સાડીનો ગમછો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જયારે ઘટના વિશે જાણ થતા પરિવારે તરત જ હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં ડોક્ટરે જયેશભાઈને મરણ ગયા હોવાનું જાહેર કર્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે જાહેર કરનાર પિતા અર્જુનભાઈએ પોલીસ સમક્ષ આપેલી માહિતી આધારે હળવદ પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે