જેલના બંદીવાનોંને માનસિક તણાવથી મુક્ત કરી જીવનનો સાચો રાહ બતાવવા યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી જેલ તંત્રનું પ્રેરણાદાયી કાર્ય
મોરબી : પોલીસ મહાનિદેશકશ્રી ડૉ. કે.એલ.એન.રાવ સાહેબ તથા પોલીસ મહાનિરિક્ષક (જેલ)શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ સામાજિક અને સેવાકીય તેમજ પ્રેરણાદાયી કાર્યથી સમાજમાં વૈચારિક ક્રાંતિ કરવામાં હર હમેશ સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી સબજેલના બંદીવાનોંને “લાલો- કૃષ્ણ સદા સહાયતે ” ફિલ્મ બતાવવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી આ હકારાત્મક જીવનશૈલીનો મેસેજ આપતી ખુબ જ સુંદર ફિલ્મ બતાવી જેલમાં બંદીવાનોને માનસિક તણાવ દૂર થાય તેવો જેલ તંત્ર દ્વારા સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે.
મોરબી જેલના ૩૧૯ બંદીવાનો માટે આજે સોમવારે સાંજે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંદીવાનોમાં હકારાત્મક દ્રષ્ટિકોણ અને માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી, જેલના મુખ્ય ટાવર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ગુજરાતી સુપરહિટ ફિલ્મ ‘લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે’નું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ પહેલ જેલ સુધારાગૃહ તરફના સતત પ્રયાસોનો એક ભાગ છે, જે અંતર્ગત કેદીઓને સર્જનાત્મક, પ્રેરણાદાયી અને તણાવમુક્ત પ્રવૃત્તિઓ સાથે જોડવાનો પ્રયાસ થકી બંદીવાનોએ આ ફિલ્મનો શો આનંદ માણ્યો હતો.
આ સમગ્ર આયોજન મોરબી યંગ ઇન્ડિયા ગૃપના ડો દેવેન ભાઈ રબારીના સહયોગથી શક્ય બન્યું હતું. મોરબી સબજેલ ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ એચ એ બાબરીયાએ આ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. જેલના તમામ સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ ફિલ્મ થકી ઘરના મુખિયા વગર ઘરના પરિવાના સભ્યોની વેદનાને વાચા આપી બંદીવાનોના હૃદય પરિવર્તન કરવાના પ્રયાસ કરેલ છે આજના અવિસ્મરણીય યોજાયેલા આ કાર્યક્રમની બંદીવાનોએ ખૂબ જ પ્રશંસા કરી હતી, કારણ કે આવી હૃદય સ્પર્શી ફિલ્મ જોવાનો એક મોકો મળ્યો હતો અને ભક્તિ સાથે આત્મવિશ્વાસ કેળવવાં જેલમાં પણ તક મળી હતી.
જેલ અધિક્ષક એચ.એ. બાબરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,આ પ્રકારની પ્રેરક પહેલ જેલ તંત્ર દ્વારા કરવામાં આવી આ પાછળનું મુખ્ય કારણ જેલમાં બંધ બંદીવાનોમાં માનસિક તણાવ ઘટાડવામાં અને સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદેશ છે સાથે સાથે બંદીવાન ભાઈઓના માનસિક રીતે પણ ખુબ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે ’ ફિલ્મ જે કર્મના સિદ્ધાંત પર આધારિત છે, તે કેદીઓને તેમના ભૂતકાળ પર વિચાર કરવા અને ભવિષ્યમાં સારો માર્ગ અપનાવવા માટે પ્રેરણા આપી શકે છે.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ, જેને ઢોલીવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે લાંબા સમય બાદ ‘લાલો’ ફિલ્મથી ઉમદા મનોરંજનની સાથે કર્મથી જીવન જીવવાનો મેસેજ આપ્યો છે. આ હિટ ફિલ્મને જેલમાં દર્શાવવાનો નિર્ણય એ દર્શાવે છે કે જેલ પ્રશાસન કેદીઓના સુધારણા અને પુનર્વસન માટે માત્ર કડક નિયમો જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને મનોરંજનના માધ્યમોનો પણ ઉપયોગ કરી રહ્યું છે. આ અનોખો અભિગમ કેદીઓના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવવાની આશા જન્માવે છે.જે પોતાના પરિવારની લાગણીઓ અને પરિવાર પર વ્યક્તિ વિના આવતી સમસ્યાઓ ને સંપૂર્ણ પણે ઉજાગર કરે છે.
આ અવસરે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડૉ. દેવેનભાઈ રબારી એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જીવનમાં પરિસ્થિતિ કેટલીય મુશ્કેલ કેમ ન હોય, પરંતુ માનવી જો આત્મચિંતન, કર્મના સિદ્ધાંતો અને સકારાત્મક વિચારસરણીને જીવનમાં સ્થાન આપે તો નવી શરૂઆત હંમેશા શક્ય બને છે. તેમણે બંદીવાનોને માનસિક રીતે મજબૂત રહેવા, યોગ, ધ્યાન અને સદ્કર્મના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. ડૉ. દેવેનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જેલ માત્ર દંડનું સ્થળ નથી, પરંતુ જીવન સુધારાનું કેન્દ્ર બની શકે છે. જો ત્યાં આશા, સંસ્કાર અને આત્મવિશ્વાસનું બીજ વાવાય. આવા કાર્યક્રમો દ્વારા બંદીવાનોમાં હૃદયપરિવર્તન અને સમાજમાં પુનઃસ્થાપનનો માર્ગ સુગમ બને તે જ યંગ ઇન્ડિયા ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ છે.









