હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)એ જણાવ્યું કે, ૨૮ માર્ચની સાંજથી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરશે. તેની અસરથી ગુજરાતના હવામાનમાં અસ્થિરતા આવશે. કચ્છ, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો-છવાયો હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે..
વાતાવરણમાં અસ્થિરતા હોવાથી જ્યાં ગાજવીજ અને વરસાદ હશે ત્યાં થોડા સમય માટે પવનનું જોર વધી શકે છે. અમુક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે.પવન મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે. તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ હાલના તાપમાન કરતાં એક-બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.માવઠાના મુખ્ય દિવસો ૨૯ અને ૩૦ માર્ચ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત એપ્રિલના પહેલા અઠવાડિયા દરમિયાન પણ માવઠાનો મંડાણ થઈ શકે છે, જેની વિગતો આગામી દિવસોમાં આપવામાં આવશે.









