રાજકોટથી મોરબી જતા મુખ્ય માર્ગ પર લાંબા ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું હતું. જેને લઇ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મહેશ રાજકોટિયાએ તંત્રને ચેતવણી આપી હતી કે, આ રોડનું કામ એક સપ્તાહમાં કરવામાં નહિ આવે તો આ રસ્તો ચક્કાજામ કરવામાં આવશે. ત્યારે રાજકોટિયાની ચિમકીએ તંત્રને જાગૃત કર્યું છે. જેના કારણે કોન્ટ્રાક્ટરે તાત્કાલિક પેચવર્ક શરૂ કર્યું છે.
રાજકોટથી મોરબી જતા મુખ્ય માર્ગ પર લાંબા સમયથી ચાલી આવતી રોડની જોખમી હાલતને કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન હતા. આ મુદ્દે રાજકીય અગ્રણી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મહેશ રાજકોટિયાએ તંત્રને એક અઠવાડિયામાં પેચવર્ક કરો અન્યથા રસ્તા રોકો આદોલન કરવાની ખુલ્લી ચિમકી આપી હતી, જેના પગલે આજે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક કામ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. પરિણામે, રોડ પર પેચવર્કનું કામ આજથી જ શરૂ થયું છે, જેનાથી લોકોમાં રાહતની અસર જોવા મળી રહી છે. આ રોડ, જે રાજકોટ અને મોરબી વચ્ચેનું મહત્વપૂર્ણ જોડણી કાર્ય કરે છે, વરસાદ અને અયોગ્ય જાળવણીને કારણે ખાડાઓ અને તિરાડોથી મગરની પિઠ જેવો બની જતા વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી, જેના કારણે અનેક અકસ્માતોનું પણ જોખમ વધી ગયું હતું. એવામાં મહેશ રાજકોટિયાએ તાજેતરમાં આ મુદ્દે તંત્રને ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન કરશે અને મીડિયા દ્વારા મુદ્દાને વધુ ઉજાગર કરશે. તેમની આ ચિમકીએ તંત્રને જાગૃત કર્યું અને રાજકોટ વિભાગના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ જારી કરી છે. કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે, ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળના કામને પોતાના ખર્ચે પૂર્ણ કરો અન્યથા કડક કાર્યવાહી થશે. જેથી આજે બપોર બાદ ટંકારાથી પેચવર્કનું કામ શરૂ થયું છે, જેમાં ખાડાઓ ભરવા, સપાટીને સમતલ કરવા અને અસ્થાયી મેળવણીના કામોનો સમાવેશ થાય છે.