માળીયા(મી) તાલુકાના અંજીયાસર ગામ નજીક પાવરગ્રીડ ૭૬૫ કેવી લાઇનના થાંભલાઓ વચ્ચે લગાવેલ ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર તથા ઇનસુલેટર, મેડીસીયન્સ જોઈન્ટ તથા સ્પેસર સહિતની અજાણ્યા શખ્સોએ ચોરી કરી લઈ જતા કંપનીને અંદાજે રૂ. ૧૮.૫૦ લાખથી વધુનું નુકસાન થયું છે. આ મામલે માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
માળીયા(મી) તાલુકાના અંજીયાસર ગામ નજીક ગાંડીવ કેમિકલ પાસે લકડીયા-અમદાવાદ ૭૬૫ કેવી પાવરગ્રીડ લાઇનના કામ દરમિયાન ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદી આશુતોષભાઈ દિનેશકુમાર ભારતીયા ઉવ.૨૫ હાલ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી મોરબી મૂળ રહે. ગેદુરાહી જી.પ્રયાગરાજ ઉત્તરપ્રદેશ ખાતે રહી કલ્પતરું પ્રોજેક્ટસ ઇન્ટરનેશનલ લિમિટેડમાં ઇજનેર તરીકે ફરજ બજાવે છે, તેમણે માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, કંપની દ્વારા લકડીયા-અમદાવાદ ૭૬૫ કેવી પાવરગ્રીડ લાઇનના લોકેશન નં. ૧૯/૦ થી ૧૯/૦૫ વચ્ચે થાંભલાઓ પર એલ્યુમિનિયમ વાયર ખેંચવાનું કામ ૦૧/૧૧/૨૦૨૫ના રોજ પૂર્ણ કરાયું હતું. ત્યારબાદ ૨૦/૧૧/૨૦૨૫ના રોજ પાવરગ્રીડ કંપનીના અધિકારી દ્વારા જાણ કરવામાં આવતા તપાસ કરતાં જાણવા મળ્યું કે લોકેશન વચ્ચેનો કુલ ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર કિ.રૂ.૧૩.૫૦ લાખ કોઈ અજાણ્યા ઇસમોએ ચોરી કરી લીધો છે. આ ઉપરાંત ૬૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર, ૧૨ ઇન્સ્યુલેટર, ૧૨ મેડિસન્સ જોઇન્ટ, ૩૫ સ્પેસર અને ૩ ડબલ આઈ સસ્પેન્શન ફિટિંગ સેટને નુકસાન પહોંચાડવામાં આવતા આશરે રૂ.૫ લાખનું વધારાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આમ કુલ રૂ. ૧૮.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ ચોરી અને નુકસાન થયાનું સામે આવ્યું છે. હાલ ફરિયાદને આધારે માળીયા(મી)પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









