મોરબી જીલ્લામાં એક જ દિવસે ત્રણ જુદા જુદા સ્થળે આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં એક પ્રૌઢે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું તથા હળવદ નજીક કેનાલમાં યુવકે ઝંપલાવતા પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું, જ્યારે વાંકાનેરમાં સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવકે ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્રણેય બનાવ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુનો પ્રથમ બનાવ બનાવ મોરબી શહેરમાં નોંધાયો હતો. જેમાં ન્યૂ આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ રહેતા સંજયભાઈ દેવજીભાઈ શેરસીયા ઉવ.૫૫એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે. જો કે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી જેથી પોલીસે આગળની તપાસની તજવીજ શરૂ કરી છે,
જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં જુના ઘનશ્યામગઢ તા.ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર ગામના અભી ઘનશ્યામભાઈ કૈલા ઉવ.૨૨ને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ તેના પિતાને થતાં પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનમાં લાગી આવતા યુવક તા.૨ માર્ચના રોજ આશરે રાત્રે દસ વાગ્યે પાણીની કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં કેનાલમાંથી મૃતદેહ મળતા હળવદ પોલીસ દ્વારા અ.મોત નોંધવામાં આવી છે.
આ ઉપરાંત ત્રીજો બનાવ વાંકાનેર તાલુકામાં નોંધાયો હતો. જેમાં ઉત્તર પ્રદેશના હમીરપુર જીલ્લાના રહેવાસી અને હાલ સરતાનપર રોડ પર આવેલા ઇટાલિનો સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા સોભિત બસંતાભાઈ ચમાર ઉવ.૨૨એ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસ મુજબ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા ઉપરાંત હાલ સિરામિક ઉદ્યોગમાં કારખાનાઓ બંધ હોવાથી રોજગારી ન મળવાની ચિંતાને લઈને તેને માનસિક ટેંશનને કારણે તેણે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે.









