મોરબી જિલ્લામાં આજે ડૂબી જવાના બે અલગ અલગ બનાવોમાં બે લોકોના મોત નિપજતા શોકનો માહોલ છવાયો છે. બંને બનાવમાં ફાયર ટીમે કામગીરી કરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ફાયર કંટ્રોલ રૂમને સવારે 9:30 વાગ્યે પ્રથમ કોલ મળ્યો હતો, જેમાં હળવદના ચરાડવા નજીક કેનાલમાં 25 વર્ષીય સેરાજ મહમદ (વતન: બિહાર, જિલ્લા વૈશાલી) ડૂબી ગયા હોવાની માહિતી મળી હતી. મોરબી અને હળવદ ફાયર ટીમે સંયુક્ત રીતે આશરે 2 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સવારે 10:30 વાગ્યે બીજો કોલ મળ્યો હતો, જેમાં ઘુંટુ ગામ નજીક તળાવ પાસેના કુવામાં 65 વર્ષીય ભોવનભાઈ માલાભાઈ રાઠોડ પડી ગયા હોવાની માહિતી મળી હતી. જેને લઇ મોરબી ફાયર ટીમે તાત્કાલિક પહોંચી કામગીરી કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો. બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









