વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર પુરઝડપે અને બેદરકારીથી ચાલતી અર્ટીકા કારની અડફેટે મોટરસાયકલ સવાર ચાલક સહિત બન્નેને પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ સમગ્ર અકસ્માત મામલે વાંકાનેર તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૧/૧૨/૨૦૨૫ના રોજ બપોરે સાડા બારેક વાગ્યે વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં, સુગર સ્પાઈસ હોટલથી આગળ ચોટીલા તરફના ડીવાઇડરની કટ પાસે અકસ્માત સર્જાયો હતો. નવાગામ બામણબોર તા.જી.રાજકોટના રહેવાસી ફરીયાદી વશરામભાઈ રણછોડભાઈ બાવળીયા ઉવ.૬૨ સાહેદ પંકજ સાથે પોતાના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં. જીજે-૩૬-સી-૮૧૯૫ ઉપર ચોટીલા તરફ દવા છાટવાના પંપની રીપેરીંગ કરાવવા જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે ચોટીલા તરફથી આવતી સફેદ રંગની મારૂતી કંપનીની અર્ટીકા કાર નં. જીજે-૦૧-ડબલ્યુએસ-૬૨૨૦ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ફરીયાદી તથા સાહેદને પગમાં મુઢ તેમજ ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થતાં સારવારમાં દાખલ કરાયા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અર્ટીકા કાર ચાલક સામે બીએનએસ અને એમ.વી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









